વિદ્યાર્થીઓની સગવડતા માટે યોગ્ય કરવું એ આજના સમયની માંગ

  • June 04, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર સહિત સૌરાષ્ટ્રના નાના શહેરોમાં લોહાણા સમાજની અનેક છાત્રાલય જેવી સંસ્થાઓ બંધ પડી છે અને કરોડો રૂપિયાની મિલકતો ધુળ ખાઈ રહી છે ત્યારે આવી મિલકતો વહેંચીને તેમાંથી થતી આવકમાંથી મોટા શહેરોમાં અભ્યાસઅર્થે જતા લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારનું મહત્વનું સુચન પોરબંદર લોહાણા મહાજનના સેક્રેટરી દ્વારા થયું છે.
પોરબંદર લોહાણા મહાજનના સેક્રેટરી અને જાણીતા સામાજિક આગેવાન રાજેશભાઈ લાખાણીએ જણાવ્યુ હતુ કે,રઘુવંશી સમાજ ખુબ વિચારશીલ અને આગમચેતી પુર્વક ચાલતો સમાજ છે.આ સમાજના વડવાઓએ શિક્ષણનું મહત્વ સમજી અને સ્વીકારીને ગુજરાત અને ભારતભરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃતિઓ માટે બોર્ડીંગ, હોસ્ટેલ, બાળાશ્રમ અને ક્ધયા છાત્રાલય બનાવેલ છે,જેમાં મોટા પ્રમાણમાં રઘુવંશી સમાજના આર્થિક સંપન્ન દાતાઓએ અનુદાન અને સહયોગ આપેલા છે.
સમય પરિવર્તન થયો છે, નાના ગામડાંઓ માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ થતાં આવા છાત્રાલય અને બોર્ડીંગ ના ઉપયોગ ઘટતા ગયા છે.હવે વિદ્યાર્થીઓ શિક્ષણ માટે મોટા શહેરો તરફ વળી રહ્યા છે અને ત્યાં પુરતા પ્રમાણમાં સગવડ અને સુવિધાઓ પ્રાપ્ત કરી  શકાતી નથી, જેથી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ને પી.જી.માં રહેવા ફરજ પડે છે અને સામાન્ય પરિવાર પર આર્થિક ભારણ વધી રહ્યા  છે. 
શ્રી લોહાણા મહાપરિષદની જુદી-જુદી કમીટીઓ બનેલ હોય છે જેમાંથી એક ખુબ જરૂરી છાત્રાલય કમીટી અસ્તિત્વ માં છે જેમના પાસે દરેક હોસ્ટેલ અને છાત્રાલય કે બાળાશ્રમની વિગતવાર માહિતી અને ડેટા એકત્ર કરવામાં આવ્યા છે.રાજકોટ, અમદાવાદ, વડોદરા, વિદયાનગર કે મુંબઈમાં સમાજના બાળકો માટે આવી હોસ્ટેલ સુવિધાઓ વધારવી ખુબ આવશ્યક અને અનિવાર્ય બની રહી છે.
પોરબંદરની વાત કરીએ તો આજે બાળાશ્રમ, વિદ્યાર્થી ભવન કે ક્ધયા છાત્રાલય બધી સુવિધાઓ છે પણ એકપણ ચાલુ છે ? બંધ થવાના કારણો જુદા હશે, પણ એનો ઉકેલ શું ? દાતાઓ એ જે હેતુ માટે ઉદાર હાથે સખાવતો આપી છે,અનુદાન આપેલ છે તે બેંકમાં ડીપોઝીટ રાખવા તો નહી જ આપી હોય,મોટી મિલકતો બંધ રાખી ખંઢેર કરવા તો આ વિચાર અમલી નહી જ થયો હોય. 
આજે, માધવપુર કે ખંભાળીયા કે દ્વારકા જેવા નાના શહેરમાં કે પોરબંદરમાં પણ બહારથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવશે નહી તો આવી સંસ્થાઓના ટ્રસ્ટીઓ જે માલીક નથી માત્ર સુયોગ્ય વહીવટ માટે પસંદગી પામેલ છે તેમણે થોડુ જુદુ વિચારવું પડશે.  હાલના જે કોઈ ટ્રસ્ટ હસ્તક આવી સંસ્થાઓ પડતર રહેલ હોય તે કાયદાકીય કાર્યવાહી અને મંજુરીઓ લઈ ને આવી બીન વપરાશી મિલકતનો નિકાલ કરીને તે ભંડોળ પોતાના જ ટ્રસ્ટ ના નામ થી, પોતે જ ટ્રસ્ટીઓ તરીકે રહીને જે શહેરોમાં વિદ્યાર્થીઓને જરૂરિયાત છે ત્યા આવી સગવડતા ઉભી કરે,એક મોટું સંકુલ અમદાવાદ કે ગાંધીનગરમાં દીકરીઓ અને દીકરાઓ માટે બને તેમાં પોતાના શહેર કે વિસ્તાર માટેનો ક્વોટા મેળવે, પોતાના ટ્રસ્ટના રોકાણના પ્રમાણમાં મિલકતનો હિસ્સો અને પોતાના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સગવડતા મેળવે એવુ પ્રાવધાન કરાવે તો ખુબ લાભ થશે.
સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ આવી સુવિધાઓ કે આર્થિક કારણસર શિક્ષણથી વંચીત ન રહે તે જોવાની પ્રાથમિકતા રાખવી પડશે જો આવું કરતા ચુકી જવાશે તો આ વિદ્યાર્થીઓને ખુબ અન્યાય થશે અને દાતાઓએ આપેલ દાનનો વેડફાટ થયો ગણાશે.સમાજ શ્રેષ્ઠીઓ આ અંગે પુખ્ત વિચારણા કરીને લાગતા વળગતાં હોદેદારોને આ બાબત પર ગંભીરતાપુર્વક વિચારણા કરવા સુચના અને આદેશ આપશે એવી અપેક્ષા અસ્થાને નહી ગણાય તેમ જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application