ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. આતંકીઓની સૌથી મહત્વપૂર્ણ માહિતી હાથ લાગી છે. આતંકીઓના પાકિસ્તાન કનેક્શન સાથે સૌથી મોટા હત્યાકાંડના પ્લાનનો પર્દાફાશ થયો છે. રાઇઝિન નામનું ઝેર ખવડાવી હજારો લોકોને મારી નાખવાનો પ્લાન હતો. આતંકી અહેમદ સૈયદે સૌથી મોટા હત્યાકાંડનું કાવતરુ ઘડ્યુ હતુ. પાછલા ઘણા સમયથી અહેમદ સૈયદ રાઇઝિન નામનું ઝેર એકઠું કરી રહ્યો હતો.
આતંકી અહેમદ સૈયદ હૈદરાબાદમાં પોતાની માલિકીની હોટલ ધરાવે છે. આ આતંકીએ વર્ષ 2008થી 2013 સુધી ચીનમાં રહીને MBBSનો અભ્યાસ કર્યો હતો. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો આતંકી અનેક આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. ત્રણેય આતંકી ISKPના પાકિસ્તાની હેન્ડલર અબુ ખદીજાના સંપર્કમાં હતા.
હથિયારો અને સાહિત્ય કબજે કરાયું
મુખ્ય આરોપીઓમાંનો એક સૈયદ અહેમદ ભણેલો-ગણેલો છે અને તે અબુ ખ્દીજા નામના આરોપીના સંપર્કમાં હતો. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા અને તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.
આરોપી સૈયદ 35 વર્ષનો, ચીનથી કર્યો છે MBBSનો અભ્યાસ
મળતી માહિતી અનુસાર આતંકવાદી ડો. સૈયદ અહેમદના ફોનમાંથી ઘણી માહિતી મળી આવી છે. આરોપી સૈયદ 35 વર્ષનો, ચીનથી MBBSનો અભ્યાસ કર્યો છે. ભારતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓનો ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હતો. આરોપીઓ અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતા. સૈયદ અફઘાનિસ્તાનના ISKP સાથે જોડાયેલો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સૈયદ નામના આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. સૈયદે હૈદરાબાદમાં રહેતા અન્ય બે આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેમ હતો.
તપાસમાં સામે આવ્યું છે કે, આતંકીઓએ એક વર્ષ પહેલાં જ રેકી કરી હતી. ATS હવે બીજા આરોપીઓની ઓળખ કરવા અને અન્ય રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરશે. ડો. સૈયદનો પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલો કરવાનો પ્લાન હતો. ફંડ ક્યાંથી આવવાનું હતું અને કેવી રીતે આવવાનું હતું તેની તપાસ હાથ ધરાશે.