ઘરવપરાશના રાંધણ ગેસ (LPG) ના વિતરણમાં પારદર્શિતા લાવવા અને બજારમાં ઊભી થતી કૃત્રિમ અછતને ડામવા માટે પુરવઠા વિભાગે કડક નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ હવે બે ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચેનો લઘુત્તમ સમયગાળો ૨૧ દિવસથી વધારીને ૨૫ દિવસ કરી દેવામાં આવ્યો છે. એટલે કે, એક સિલિન્ડર લીધા બાદ ગ્રાહક ૨૫ દિવસ પૂરા થયા પહેલા નવું બુકિંગ કરાવી શકશે નહીં.
અફવાઓએ ઉભી કરી મુશ્કેલી
છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ગેસની તંગી સર્જાવાની ખોટી અફવાઓ ઉડી રહી હતી. આ અફવાઓને કારણે ગ્રાહકોમાં ગભરાટ (Panic) ફેલાયો હતો:
એડવાન્સ બુકિંગનો મારો:
જે ગ્રાહકો સામાન્ય રીતે સરેરાશ ૫૫ દિવસે નવું સિલિન્ડર મંગાવતા હતા, તેઓએ ગભરાટમાં આવીને માત્ર ૧૦ થી ૧૫ દિવસમાં જ નવું બુકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.
કૃત્રિમ અછત:
જરૂરિયાત ન હોવા છતાં લોકોએ એડવાન્સમાં સિલિન્ડર ભરી રાખવાનું શરૂ કરતા ખરેખર જેમના ઘરે ગેસ ખાલી થઈ ગયો હતો, તેવા જરૂરિયાતમંદ પરિવારોને હાલાકી ભોગવવી પડી રહી હતી.
કાળાબજારી કરનારાઓ પર લગામ
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા કિસ્સામાં સંગ્રહખોરો ઘરેલુ સિલિન્ડરનો જથ્થો ભેગો કરી તેને મોંઘા ભાવે વેચતા હોવાનું પણ સામે આવ્યું છે. ૨૫ દિવસની આ મર્યાદાથી બિનજરૂરી સ્ટોક અટકાવી શકાશે. સરકારનું માનવું છે કે સામાન્ય રીતે એક મધ્યમ પરિવારમાં ૧૪.૨ કિલોનું સિલિન્ડર ૨૫ દિવસથી વધુ ચાલે જ છે, તેથી સાચા ગ્રાહકોને આ નિયમથી કોઈ ખાસ તકલીફ પડશે નહીં.