મંત્રાલય ભવનના ત્રીજા માળેથી કૂદ્યા અજિત ગુટના MLA અને ડેપ્યુટી સ્પિકર, સેફ્ટી નેટમાં ફસાયા

  • October 04, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના કેટલાક આદિવાસી ધારાસભ્યો અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ શુક્રવારે મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારના વહીવટી મુખ્યાલય 'મંત્રાલય ભવન'ના ત્રીજા માળેથી કૂદી પડ્યા હતા. સદનસીબે બિલ્ડીંગમાં લાગેલી સેફ્ટી નેટમાં બધા ફસાઈ ગયા હતા અને નીચે ફ્લોર પર પડતાં બચી ગયા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


વાસ્તવમાં, તે બધા અનામત માટે આંદોલન કરી રહ્યા હતા. અજિત પવારના આ ધારાસભ્યોની માંગ છે કે ધનગરોને આદિવાસી અનામતમાં ક્વોટા ન આપવો જોઈએ અને તેમના માટે અલગ અનામતની વ્યવસ્થા કરવામાં આવે. મહારાષ્ટ્રના આદિવાસી ધારાસભ્યો આ મુદ્દે સતત આંદોલન કરી રહ્યા છે. કેબિનેટની બેઠક દરમિયાન, અજિત પવાર જૂથના આદિવાસી ધારાસભ્યોએ મંત્રાલયની ઇમારતના ત્રીજા માળેથી સુરક્ષા જાળ ઉપર કૂદીને વિરોધ કર્યો હતો. તેમની સાથે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ પણ સુરક્ષા જાળમાં કૂદી પડ્યા હતા.


નરહરિ ઝિરવાલ કેટલાક આદિવાસી ધારાસભ્યો સાથે બુધવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા અને માંગ કરી હતી કે આદિવાસી આરક્ષણમાં અન્ય કોઈ જાતિનો સમાવેશ ન કરવો જોઈએ. જોકે, તેમને મુખ્યમંત્રીને મળવા માટે 7 કલાક રાહ જોવી પડી હતી. આદિવાસી ધારાસભ્યો તેનાથી નારાજ હતા, લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ તેઓ મુખ્યમંત્રીને મળી શક્યા ન હતા, જેના કારણે કેટલાક ધારાસભ્યો મંત્રાલયમાં નેટ પર કૂદી પડ્યા હતા. મહારાષ્ટ્ર કેબિનેટની ચાલી રહેલી બેઠક દરમિયાન આ ઘટના બની હતી.


ધનગરો પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડા પ્રદેશમાં રહે છે અને ભરવાડ સમુદાયમાંથી આવે છે. આ સમુદાય પોતાને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાં સામેલ કરવાની માંગ કરી રહ્યો છે. સમુદાયનું કહેવું છે કે તેઓને ક્વોટાથી વંચિત રાખવામાં આવ્યા છે કારણ કે કેન્દ્રના ડેટાબેઝમાં 'ધનગર'નો કોઈ ઉલ્લેખ નથી, બલ્કે 'ધનગઢ'ને ST શ્રેણીના ભાગ તરીકે ઓળખવામાં આવ્યો છે. ધનગરો હાલમાં વિચરતી જાતિની યાદીમાં છે.


સપ્ટેમ્બરની શરૂઆતમાં, સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, યશવંત સેનાના વડા માધવભાઈ ગાડેએ કહ્યું હતું કે, 'જો મુખ્યમંત્રી પાસે ધનગર આરક્ષણ અને અમારી અન્ય માંગણીઓ સાંભળવાનો સમય નથી, તો અમને તેમની પણ જરૂર નથી. ' અગાઉ 30 સપ્ટેમ્બરના રોજ, સેંકડો આદિવાસીઓએ ગોંદિયા શહેરમાં વિરોધ કર્યો હતો, એવો આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકાર ધનગરોને ST શ્રેણીમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે.


જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ધનગર (પશુપાલકો) આદિવાસી નથી અને તેમને એસટી યાદીમાં સામેલ કરવાનો કોઈપણ પ્રયાસ આદિવાસીઓ સાથે અન્યાય થશે. રાજ્યકક્ષાના મંત્રી શંભુરાજ દેસાઈએ તાજેતરમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ત્રણ IAS અધિકારીઓ સહિતની એક પેનલની સ્થાપના કરશે કે શું 'ધનગર' અને 'ધનગઢ' એક જ સમુદાયના અલગ-અલગ નામ છે કે કેમ ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application