વ્યાજખોરી અને ઓનલાઇન ગેમિંગના દુષણ દૂર કરવા અંગે રજૂઆત કરતા ધારાસભ્ય હેમંત ખવા

  • September 03, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત ગુજરાતભરમાં વ્યાજખોરોના ત્રાસ અંગેના ચિંતાજનક આંકડા: કાયદો ઘડવાની માંગ


વ્યાજખોરી અને ઓનલાઈન ગેમિંગએ સાંપ્રત સમયની સૌથી મોટી સળગતી સમસ્યા છે. અનેક લોકો આ દુષણમાં સપડાયા બાદ અકાળે મોતને શરણ થયા છે. આ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ ન થાય તે દિશામાં પગલાં ભરવાની માંગ સાથે લાલપુર, જામજોધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હહેમંતભાઈ ખવાએ વિધાનસભાના ફ્લોર પર રજૂઆત કરી આરોપીઓ વિરુદ્ધ મજબૂત ગાળિયો કસવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઇન 'ગેમ'એ અત્યાર સુધીમાં ઘણા યુવાનોની જિંદગી 'ઓવર' કરી છે ત્યારે ગેમિંગના આ દુષણ સામે તામિલનાડુની માફક ગુજરાતમાં પણ કાયદો ઘડવાની માંગ કરી છે.


રજુઆત કરતા યુવા ધારાસભ્ય હેમંતભાઈએ સભામાં રજૂઆતમાં ભારે ચિંતા અને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે એકલા મારા મત વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી એક માસમાં 6 લોકો મોતને ભેટી ગયા છે. જેમના પરિવારમાં હજુ પણ અશ્રુનો દરિયો સુકાયો નથી. આ ઉપરાંત સમગ્ર જામનગર અને ગુજરાતમાં તો બાજખોરોના ત્રાસના આંકડાઓ ખૂબ જ ચિંતાજનક અને ચોકાવનારા છે. વ્યાજખોરો સામેના કડક કાયદા હોવા છતાં અમલવારીની ઉણપના કારણે ચામડાતોડ વ્યાજ વસૂલતા આરોપીઓ બેલગામ ફરે છે. અને તેઓને કાયદાનો કોઈ ડર જ નથી.


ત્યારે અમારું સૂચન છે કે જે પણ વ્યાંજકવાદી સામે ગુન્હો નોંધાઈ અને તે તપાસમાં સાબિત થાય તો તેમની પાસેથી ફરિયાદ મુજબની રકમ વસુલી અને ભોગગ્રસ્ત લોકોના પરિજનોને સોંપવી જોઈએ. સાથે જ આરોપીઓની અપ્રમાણસર મિલકત પણ ટાંચમાં લેવી જોઈએ. આ ઉપરાંત જરા પણ બાંધછોડ કર્યા વગર તેઓને કડકમાં કડક સજા આપવી જોઈએ. આ પ્રકારના સુધારાની તાતી આવશ્યકતા હોવાની અમારી માંગ છે.


વધુમાં હેમંતભાઈએ રજૂઆતમાં કહ્યું કે ઓનલાઈન ગેમિંગે અનેક પરિવારના વહાલસોયાઓને છીનવી લીધા છે. તામિલનાડુની સરકાર આ અંગે કાયદો બનાવી શકે છે! તો ગુજરાતમાં શું કામ નહિ? ઓનલાઈન ગેમિંગને નાબૂદ કરવા અલગથી કાયદો બનાવવાનું સૂચન હેમંતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સબંધીત બાબતે સૂચન કરતા ધારાસભ્યશ્રીએ કહ્યું કે આજે અનેક યુવાઓ પોતાના રૂમમાં ચાર દીવાલ વચ્ચે આ દુષણ રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે. પોતાના પરિવારજનોની જાણ બહાર અનેક યુવાનો ગેમિંગમાં મોટું આર્થિક નુકસાન ભોગવ્યા બાદ દેવામાં દબાયા છે. ઘણા યુવાનો મોતના ખપ્પર માં હોમાયા હોવાના પણ કિસ્સાઓ હાજર છે. ત્યારે યુવાધનને બરબાદીના રસ્તે જતું અટકાવવા માટે શ્રી હેમંતભાઈ ખવાએ સૂચનો કર્યા હતા.


ઓનલાઇન ગેમિંગ એટલા માટે વધુ ખતરનાક છે કારણ કે પોતાના રૂમમાં પોતાનું બાળક શું કામ કરી રહ્યું છે? તેનાથી વાલીઓ અજાણ હોય છે. જેથી વાલીઓ પૂરતું ધ્યાન આપી શકતા નથી. પરિણામે ઓછી સમજણના પાપે બાળકો આનો ભોગ બને છે અને ડરના માર્યા જાણ પણ કરી શકતા નથી. અને અંતે મોત વ્હાલું કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. એવું પણ કહી શકાય છે કે ઓનલાઇન ગેમિંગ એ વ્યાજખોરની જનની છે. કેમ કે ગેમિંગના વિષચક્રમાંથી બહાર નીકળવા માટે યુવાનો વ્યાજખોરોના શરણે જતા હોય છે જેની મજબૂરીનો ફાયદો ઉઠાવી આરોપીઓ આડેધડ વ્યાજ વસૂલે છે. આથી આ બન્ને દુષણ અટકાવવાની દિશામાં કામ કરવા તાકીદ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application