રોપેક્ષ ફેરી સર્વિસ ફરી અટવાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

  • March 13, 2024 10:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા રો-રો ફેરી સર્વિસ વારંવાર વિવાદના વંટોળમાં સપડાય છે. ગુજરાતના બે મોટા સેન્ટરને એક બીજા સાથે જળ માર્ગે જોડતો પ્રોજેક્ટ વર્ષમાં એક બે વાર તો ચર્ચાનો વિષય બને છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું ભૌગોલિક અંતર દૂર કરવા માટે શરૂ કરવામાં આવેલી ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસ આજે ફરી ઘોઘાના દરિયા કિનારાથી થોડે દૂર અટકી પડતા ફેરી સર્વિસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. ત્રણ મહિના બાદ ફરી વાર આ રીતે રો-પેક્સ ફેરી સર્વિસ દરિયામાં અધવચ્ચે અટકી પડી છે. અગાઉ નવેમ્બર માસમાં રો-પેક્સ ફેરી ઘોઘાના દરિયા કિનારેથી અડધો કિમી દૂર દરિયાના કાદવમાં ફસાઈ હતી. જે પછી આજે ફરી તેમાં વિક્ષેપ આવ્યો છે. આશરે ૩ કલાક સુધીની જહેમત બાદ શીપ બહાર નિકળી હતી. દહેજથી ઘોઘા આવી રહેલું રો-પેક્સ ફેરી સર્વિસનું શીપ બપોરે બાર કલાકે ઘોઘાની ચેનલમાં પ્રવેશ્યું હતું. બપોરે ૧૨.૧૮ કલાકે મુસાફરો ભરેલું શીપ દરિયામાં અટકી પડતા મુસાફરો ચિંતામાં મુકાયા હતા. શીપ ઘોઘાની સેન્ટર ચેનલમાં ટર્નિંગ સર્કલ પાસે ફસાઈ ગયું હતું. બીજી તરફ શીપને બહાર કાઢવા માટેની કામગીરી એજન્સી દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. રો-પેક્સ ફેરી સર્વિસ અટકી પડતા તુરંત ટગ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસાફરોને આ અંગે જાણ કરવામાં આવી હતી. બીજી તરફ શીપને પુનઃ શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. દહેજથી નિકળીને ઘોઘા આવી રહેલા રો-પેક્સ ફેરી સર્વિસના શીપમાં ૩૩૩ મુસાફરો ૧૮૦ વાહનો હતા. જે આશરે સાડા ત્રણ કલાક સુધી ઘોઘાના દરિયાકાંઠેથી દૂર દરિયામાં ફસાયેલા રહ્યાં હતા. જોકે બાદમાં બપોરે ૩.૦૨ કલાકે રો-પેક્સ ફેરી સર્વિસ ફરી પૂર્વવત થઈ હતી. જે અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર પાણીના ઓછા પ્રવાહને કારણે વખતો વખત રોરો ફેરીનું શિપ આવી રીતે ફસાઈ ગયું હતું. અગાઉ ૨૩ મી નવેમ્બરના રોજ સાંજે ૫.૩૦ કલાકે દહેજ જતી રો-રો ફેરી સર્વિસ ઘોઘાના દરિયા કિનારેથી અડધો કિમી દુર કિચડમાં ફસાતા ફેરીમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્યારે જહાજમાં આશરે ૫૦૦ મુસાફરો અને ૫૦ જેટલા વાહનો હતા જેઓ બે કલાક સુધી ફસાયેલા રહ્યાં હતા. ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર ઘટાડી એક મહત્વના પરિવહનના વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. જોકે વારંવાર શિપને લઇને પડતી મુશ્કેલી અંગે મુસાફરોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. શિપ ફસાઈ જવાનાં બનાવ અંગે જિલ્લા કલેકટર દ્વારા ઝડપથી શિપને જેટી પર પહોંચાડવા કામગીરી કરી મુસાફરો સહી સલામત રીતે નિયત સ્થળ પર પહોંચે તે અંગે તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપી હતી. અને આખરે શીલ બે થી ત્રણ કલાક બાદ ઘોઘા જેટી પર પહોંચતા કંપની અને તંત્રએ રાહતના શ્વાસ લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application