મહારાષ્ટ્ર સરકારે શહેરી વિસ્તારોમાં રખડતા કૂતરાઓના હુમલાની વધતી સંખ્યાને ઘટાડવા માટે ખાસ પગલાંની જાહેરાત કરી છે, જેમાં એક મુદાના લીધે ગરમાગરમ ચર્ચા અને રાજ્ય વિધાનસભામાં વિવાદાસ્પદ નિવેદનની ભરમાર જાગી છે. આ તકે ભાજપના ધારાસભ્ય મહેશ લાંડગેએ કરેલા નિવેદનથી ભડકો થયો છે. તેમણે કહ્યું હતું કે રખડતા કૂતરાઓને પશુ પ્રેમીઓના ઘરે છોડી દેવા જોઈએ, જેના પગલે આ મામલો ગરમાયો છે.બીજી તરફ શહેરી વિકાસ રાજ્યમંત્રી માધુરી મિસાલે ચિંતાજનક આંકડા રજૂ કર્યા. તેમણે જણાવ્યું હતું કે એકલા મુંબઈમાં અંદાજે 90,757 રખડતા કૂતરા છે, પરંતુ બીએમસી દ્વારા ચલાવવામાં આવતા ફક્ત આઠ આશ્રયસ્થાનો છે. રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં, આશરે 11.88 લાખ રખડતા કૂતરા છે અને ફક્ત 105 આશ્રયસ્થાનો છે.
ભાજપના ધારાસભ્ય મહેશ લાંડગેએ ઉકેલોમાં અવરોધ ઊભો કરવા બદલ પ્રાણી પ્રેમીઓની ટીકા કરતા ચર્ચા વધુ તીવ્ર બની, અને કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં પુણેમાં 100,000 થી વધુ કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. લાંડગેએ ઉશ્કેરણીજનક સૂચન કર્યું, "કૂતરાઓ પકડીને આ પ્રાણી પ્રેમીઓના ઘરોમાં છોડી દેવા જોઈએ.
સરકારની સુપ્રીમના નિર્દેશોનું પાલન કરવાની પ્રતિજ્ઞા
ભાજપના અતુલ ભટખલકરે ખાલી સરકારી જમીન પર વધુ આશ્રયસ્થાનોની માંગણી કરી, જ્યારે શિવસેનાના સુનિલ પ્રભુએ કહ્યું કે જનપ્રતિનિધિઓ પણ સંવેદનશીલ છે અને નસબંધી કાર્યક્રમોના વિરોધ પર સવાલ ઉઠાવ્યા. સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ ધારાસભ્યોએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો.અંતે, મંત્રી મિસાલે ગૃહને ખાતરી આપી હતી કે નક્કર,કાર્યક્ષમ પગલાં ઘડવા માટે સંબંધિત ધારાસભ્યો અને અધિકારીઓ સાથે ટૂંક સમયમાં એક ખાસ બેઠક બોલાવવામાં આવશે.