લાલપુરની રેફરલ હોસ્પિટલ: નામ બડે ઔર દર્શન છોટે જેવો ઘાટ...!

  • July 20, 2024 10:45 AM 

તંત્રના વાકે દર્દીઓ પરેશાન: ત્રણના મહેકમ સામે માત્ર એક જ ડોક્ટર: શિખાઉ તબીબોના હવાલે દર્દીઓ: ખાનગી સારવાર લેવા ગરીબ દર્દીઓ લાચાર: કથડેલી આરોગ્ય સેવાથી દર્દીઓની રજળપાટ...


જામનગર જિલ્લાના લાલપુર શહેર અને તાલુકાના ખાસ કરીને મધ્યમ વર્ગીય લોકો માટે તબીબી સારવારનો આધાર સ્તંભ ગણાતી રેફરલ હોસ્પિટલ હાલ માત્ર એક ડોક્ટર પર નભતી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે અહીં માત્ર એક જ ડોક્ટર હોવાથી દર્દીઓ ભારે હેરાન થઈ રહ્યા છે. ઓ.પી.ડી વિભાગમાં સવારથી દર્દીઓની લાઈનો લાગી હોય છે. ત્યારે માત્ર એક જ ડોક્ટર હોવાથી મોટાભાગના દર્દીઓને વારો આવતો ન હોવાની સારવાર માટે લાચાર બનવું પડે છે.


ખાટલે મોટી ખોટ હોય તેમ એક જ ડોક્ટર દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે. બીજી તરફ હાલ રોગચાળાની સિઝન હોવાથી સારવાર માટે આવતા દર્દીઓની હાલત અત્યારે દૈન્ય બની જવા પામી છે. 72 ગામડા ધરાવતો તાલુકાની મધ્યમ વર્ગીય લોકો માટે રેફરલ હોસ્પિટલ મહત્વની હોય છે. ત્યારે હોસ્પિટલમાં મોટાભાગના મહત્વના રોગની દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી દર્દીઓને મેડિકલમાંથી દવા લેવા લાચાર બન્યા છે. અને અપૂરતા સ્ટાફ ના કારણે દર્દીઓના સગાઓ બાટલા લઈને ખાટલે લઈ જતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.


તો બીજી બાજુ હોસ્પિટલમાં શ્વાન આરામ ફરમાવતા હોય તેવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. અને મોટાભાગના વોર્ડમાં કર્મચારીઓ ન હોય છતાં લાઈટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા. અને વીજળીનો વેડફાટ થતો હોય તેવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો બીજી બાજુ શૌચાલયમાં લેમ્પ પણ ન હોય ત્યારે રાતના સમયે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ઇમરજન્સી કે અકસ્માતના બનાવવામાં મોટાભાગે દર્દીઓને રીફર કરી દેવામાં આવે છે.


રેફરલ હોસ્પિટલમાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે. હોસ્પિટલમાં અપૂર્તા સ્ટાફ અને સંસાધનોના અભાવે ઈમરજન્સી સમયે જરૂરિયાત વાળા દર્દીઓ ને હેરાનગતિ સહન કરવી પડે છે. મહત્વની વાત એ છે કે રેફરલ હોસ્પિટલમાં અધિક્ષકની જગ્યા ઘણા સમયથી ચાર્જ માં આપીને ગાડુ ગબડાવવામાં આવે છે. જેને કારણે ગંભીર સ્થિતિના દર્દીઓને તત્કાલિક સારવાર મળી શકતી નથી. રેફરલ હોસ્પિટલમાં આરોગ્યની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ક્યાંક ડોક્ટરો  ન હોય આકસ્મિક સંજોગોમાં હોસ્પિટલો માં સુવિધા ના નામે મીંડું જ છે.


ત્યારે સરકારના મોટા મોટા દાવા પોકળ સાબિત થતા હોય તેમ આ દ્રશ્યો ચાળી ખાય છે. ત્યારે મધ્યમ વર્ગીય દર્દીઓને તંત્ર દ્વારા ક્યારે સારી સુવિધા આપશે તે તો આવનાર સમય બતાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application