રાજકોટના લાખાજીરાજ રોડના વેપારીઓએ ગત મંગળવારે બંધ પાળી રોડ ઉપરથી લારી ગલ્લા અને પાથરણાવાળા ફેરિયાઓનું દબાણ હટાવવા તથા રવિવારી બજાર બંધ કરાવવાની માંગ સાથે બંધ પાળી આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ દબાણ હટાવ સ્ટાફ ફેરિયાઓ સાથે વહીવટ કરી ભ્રષ્ટાચાર આચરી લાખાજીરાજ રોડ બેસવા દેતો હોવાના આક્ષેપો કર્યા હતા. આ ઘટનાક્રમ બાદ ગઇકાલે પ્રથમ રવિવારે દબાણ હટાવ વિભાગની ટીમ પોલીસ સાથે સતત લાખાજીરાજ રોડ ઉપર સુપરવિઝનમાં રહેતા રવિવારી બજાર ભરાઇ ન હતી પરંતુ આ તમામ પાથરણાવાળાઓ ડો. યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકથી ઇમ્પિરિયલ પેલેસ સુધી રોડની બન્ને બાજુએ ગોઠવાઈ ગયા હતા અને ભયંકર ટ્રાફિક જામ સર્જ્યો હતો.
બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બનેલા દબાણ હટાવ સ્ટાફને જે રવિવારી બજાર લાખાજીરાજ માર્ગ ઉપર દબાણરૂપ જણાઈ હતી તે યાજ્ઞિક રોડ ઉપર દબાણરૂપ જણાઈ ન હતી ! શું દબાણની વ્યાખ્યા રોડે રોડે બદલાઈ જતી હશે ? શું જીપીએમસી એક્ટમાં રોડના નામ જોગ ક્યાંથી દબાણો હટાવવા અને ક્યાંથી નહી ? તેનું લિસ્ટ આપ્યું હશે !? તેવા અનેક સવાલો યાજ્ઞિક રોડના દુકાનદારોમાંથી ઉઠવા પામ્યા હતા. દુકાનદારો ઉપરાંત રેસકોર્સ રિંગ રોડ જવા નીકળેલા અનેક પરિવારો યાજ્ઞિક રોડ ઉપરની રવિવારી બજારના ટ્રાફીકમાં કલાકો સુધી ફસાઈ ગયા હતા.