કોલકાત્તા રેપ –મર્ડર કેસ : આજે સુનવણી દરમ્યાન સરકારે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો

  • September 09, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ સરકારે હોસ્પિટલમાં તોડફોડ અંગે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. ત્યારે સીબીઆઈએ કેસમાં અત્યાર સુધીની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો.




મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળના ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચે કેસની સુનાવણી કરતી વખતે સીલબંધ કવરમાં રજૂ કરેલા અહેવાલની સમીક્ષા કરી હતી.




બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બેન્ચને કહ્યું કે, અમે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે અહેવાલ રજૂ કર્યો છે. ડોક્ટરોની હડતાળને કારણે 23 લોકોના મોત થયા છે.




સીબીઆઈ તરફથી કેસમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકાર સીબીઆઈથી શું છુપાવવા માંગે છે? પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબની નકલ અમને મળી નથી.




પશ્ચિમ બંગાળ સરકાર વતી કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું કે, અમે કોર્ટમાં જવાબની માત્ર એક કોપી જમા કરાવી છે. અમે હજુ સુધી સીબીઆઈને કોપી આપી નથી. સિબ્બલે કહ્યું કે, જ્યારે ડોક્ટરોની હડતાળને કારણે હોસ્પિટલમાં ડોક્ટરો કામ કરી રહ્યા ન હતા ત્યારે સારવારના અભાવે 23 લોકોના મોત થયા હતા.




સોલિસિટર મહેતાએ કહ્યું કે, અમારી પાસે ફોરેન્સિક રિપોર્ટ છે. જ્યારે સવારે 9:30 કલાકે મૃતદેહ મળી આવ્યો હતો. તે અર્ધ-નગ્ન અવસ્થામાં હતી. શરીર પર ઈજાના નિશાન હતા. આ બહુ ગંભીર બાબત છે. જે બાદ સીબીઆઈએ નિર્ણય લીધો કે ઘટના સ્થળેથી મળેલા સેમ્પલ અને મૃતદેહને એઈમ્સમાં મોકલવામાં આવે. આવી સ્થિતિમાં કોણે સેમ્પલ લીધા છે, કેવી રીતે લેવાયા છે. આ જાણવું અગત્યનું બની જાય છે.




સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નો ઉઠાવ્યા




આ મામલામાં રજૂ થયેલા સ્ટેટસ રિપોર્ટને ધ્યાનમાં રાખીને CJI ચંદ્રચુડે પૂછ્યું કે, પ્રિન્સિપાલનું ઘર હોસ્પિટલથી કેટલું દૂર હતું? તેના પર સોલિસિટર જનરલે કહ્યું કે તેમનું ઘર હોસ્પિટલથી ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ દૂર છે.




CJIએ પૂછ્યું કે, અકુદરતી મૃત્યુનો સમય શું હતો? અકુદરતી મૃત્યુ ક્યારે દાખલ થયું? તેના પર સિબ્બલે કહ્યું કે, મૃત્યુનું પ્રમાણપત્ર બપોરે 1:47 કલાકે મળ્યું. બપોરે 2:55 કલાકે અકુદરતી મૃત્યુ અંગેની એન્ટ્રી નોંધવામાં આવી હતી. કોર્ટે કહ્યું તો પછી આટલો સમય કેમ લાગ્યો?




CJIએ પૂછ્યું કે, સર્ચ અને રિકવરી ક્યારે થઈ? તેના પર સિબ્બલે કહ્યું કે રિકવરી રાત્રે 8:30 કલાકે થઈ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવતા પ્રક્રિયા શરૂ થઈ હતી. તે પહેલા ત્યાં ફોટોગ્રાફીનું કામ પૂર્ણ થઈ ગયું હતું.




સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું કોલકાતા પોલીસે 8:30 થી 10:45 સુધીના સમગ્ર ફૂટેજ સીબીઆઈને સોંપી દીધા છે? તેના પર સોલિસિટર જનરલે કહ્યું કે હા અમને મળી ગયું છે. કુલ ચાર ક્લિપિંગ્સ છે. આ ક્લિપિંગ્સ 27 મિનિટની છે.




સુપ્રીમ કોર્ટે ફરી એકવાર પૂછ્યું કે, એફઆઈઆર ક્યારે નોંધવામાં આવી. તેના પર પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે એફઆઈઆર બપોરે 2:55 કલાકે નોંધવામાં આવી હતી જ્યારે મૃત્યુનું પ્રમાણપત્ર 1:47 કલાકે આપવામાં આવ્યું હતું. CJIએ કહ્યું કે, અકુદરતી મૃત્યુના મામલામાં અમને સ્પષ્ટતાની જરૂર છે.




સીબીઆઈને વધુ એક સપ્તાહનો સમય મળ્યો છે




આ કેસમાં કોર્ટે હવે CBIને તપાસ માટે વધુ એક સપ્તાહનો સમય આપ્યો છે. CJI ચંદ્રચુડે કહ્યું કે CBIએ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. તપાસ આગળ વધી રહી હોવાનું જણાય છે. અમે સીબીઆઈને નવો સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપીએ છીએ. અમે મંગળવારે આ સાંભળીશું. અમે આ કેસની તપાસમાં સીબીઆઈને માર્ગદર્શન આપવા માંગતા નથી.




છેલ્લી સુનાવણી દરમિયાન SCએ શું કહ્યું?




આ અગાઉ 20 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ભયાનક ગણાવી હતી અને ડોકટરો અને અન્ય આરોગ્ય વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રોટોકોલ તૈયાર કરવા માટે 10-સદસ્યની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના સહિત અનેક નિર્દેશો જારી કર્યા હતા.



9 ઓગસ્ટના રોજ, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં 31 વર્ષીય તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. 22 ઓગસ્ટે કોર્ટે કોલકાતા પોલીસને અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં વિલંબ કરવા બદલ ઠપકો આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application