હેર ટ્રાન્સપ્લાન્ટ પહેલા જાણી લો 5 મહત્વપૂર્ણ બાબતો, ઉતાવળમાં ને ઉતાવળમાં ન કરતા આ ભૂલ

  • May 15, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના વ્યસ્ત જીવન, તણાવ, ખરાબ ખાવાની આદતો અને વધતા પ્રદૂષણની પહેલી અસર આપણા વાળ પર પડે છે. નાની ઉંમરે વાળ ખરવા, ટાલ પડવી જેવી સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો હેર ટ્રાન્સપ્લાન્ટને કાયમી ઉકેલ તરીકે જોવા લાગ્યા છે. આ એક તબીબી પ્રક્રિયા છે જે માથા પરના વાળ ફરીથી ઉગાડવામાં મદદ કરી શકે છે પરંતુ તાજેતરમાં બે એવા કિસ્સા બન્યા છે જેમાં હેર ટ્રાન્સપ્લાન્ટને કારણે બે લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, પહેલા તેનાથી સંબંધિત બધી સાવચેતીઓ વિષે જાણવું અને સમજવું જરૂરી છે.


કારણ કે ઘણીવાર લોકો આ પ્રક્રિયાના ફક્ત બાહ્ય પરિણામો જ જુએ છે... જેમ કે 'વાળ પાછા ઉગશે', 'લુક બદલાશે', 'આત્મવિશ્વાસ પાછો આવશે' પરંતુ વાસ્તવિકતા એ છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ એ એક મોટો નિર્ણય છે અને તે કરાવતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો યોગ્ય માહિતી કે સલાહ વિના આ પ્રક્રિયા કરાવો છો, તો પરિણામો નિરાશાજનક હોય શકે છે. પૈસાનો બગાડ થઈ શકે છે, સ્કેલ્પને નુકસાન થઈ શકે છે અથવા ઇચ્છિત પરિણામ પ્રાપ્ત ન થઈ શકે.

માટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા જાણી લો તેને સંબંધિત 5 મહત્વપૂર્ણ બાબતો. જે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ, જેથી કાળજીપૂર્વક વિચાર કરીને યોગ્ય નિર્ણય લઈ શકો.


1. હેર ટ્રાન્સપ્લાન્ટ દરેક માટે ફાયદાકારક નથી


એ જાણવું મહત્વપૂર્ણ છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ દરેક માટે યોગ્ય નથી. જો માથાના પાછળના ભાગમાં એટલે કે 'ડોનર એરિયા'માં પૂરતા પ્રમાણમાં હેલ્ધી વાળ ન હોય તો ટ્રાન્સપ્લાન્ટ સફળ થશે નહીં. આ ઉપરાંત, જો ટાલ હોર્મોનલ અથવા કોઈપણ તબીબી સ્થિતિને કારણે હોય તો પહેલા તેની તપાસ અને સારવાર કરવાની જરૂર છે.


2. પરિણામો તરત જ નથી મળતા


હેર ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ જાદુઈ છડી નથી જેનાથી બીજા દિવસે વાળ ઉગી જાય. આમાં 6 થી 12 મહિનાનો સમય લાગી શકે છે. ક્યારેક ટ્રાન્સપ્લાન્ટના થોડા અઠવાડિયા પછી વાળ ખરવા લાગે છે, જે એક સામાન્ય પ્રક્રિયા છે. આ દરમિયાન ધીરજ અને યોગ્ય કાળજી જરૂરી છે.


3. સર્જન અને ક્લિનિકની યોગ્ય પસંદગી


ઓછા ખર્ચે ઝડપી પરિણામોનો લોભ ક્યારેક મોંઘો સાબિત થઈ શકે છે. સસ્તા અને બિનવ્યાવસાયિક ક્લિનિક્સમાં કરવામાં આવતી પ્રક્રિયામાં ચેપ, ડાઘ અથવા નબળા પરિણામોનું જોખમ રહેલું છે. હંમેશા અનુભવી અને રજિસ્ટર્ડ સર્જન પાસેથી ટ્રાન્સપ્લાન્ટ કરાવો.

4. ટ્રાન્સપ્લાન્ટ પછી પણ કાળજી લેવી પડે છે


હેર ટ્રાન્સપ્લાન્ટ પછી ખાસ કાળજી લેવી જરૂરી છે. તડકો, ધૂળ, પરસેવો અને રગડવાથી બચવું મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ, શેમ્પૂ અને સ્કેલ્પની સારવાર પણ જરૂરી બની શકે છે. જો પછીની સંભાળમાં અવગણના કરવામાં આવે તો તેના પરિણામો ભયંકર આવી શકે છે.


5. આ પરિસ્થિતિઓમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ન કરાવો


હેર ટ્રાન્સપ્લાન્ટ દરેક માટે નથી. કેટલીક પરિસ્થિતિઓ એવી છે જેમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ન કરાવવું જોઈએ. કેન્સરની સારવાર દરમિયાન વાળ ખરી ગયેલા લોકોએ અથવા જે લોકોના માથા પર સર્જરી કે ઈજાના કારણે ડાઘ છે અને જેમના માથાના બધા ભાગોમાંથી વાળ ખરતા હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application