પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર વિચિત્ર નિવેદન આપ્યું છે.તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ વિસ્ફોટક ટિપ્પણી કરી હતી, તેમને "માનવતાનો સૌથી ખરાબ ગુનેગાર" ગણાવ્યા હતા. આસિફે કહ્યું હતું કે અમેરિકાએ નેતન્યાહૂનું "અપહરણ" કરવું જોઈએ અને તેમને કોર્ટમાં રજૂ કરવા જોઈએ, જેમ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો સાથે કરવામાં આવ્યું . તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે નેતન્યાહૂ સામે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટને ધ્યાનમાં રાખીને તુર્કી પણ નેતન્યાહૂનું અપહરણ કરી શકે છે.
નેતન્યાહૂને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર જાહેર કરવા માગ
આસિફે કહ્યું, "નેતન્યાહૂને હવે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર જાહેર કરવા જોઈએ. જો અમેરિકા માનવતાનો મિત્ર છે, તો તેણે નેતન્યાહૂનું અપહરણ કરવું જોઈએ અને તેની એક કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવી જોઈએ." સંરક્ષણ મંત્રી ત્યાં અટક્યા નહીં. જ્યારે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ ઇઝરાયલી વડા પ્રધાનનું અપહરણ કરીને અંકારા લઈ જવાનું સૂચન કર્યું, ત્યારે આસિફે ઉમેર્યું, "તુર્કીએ ખાતરી કરવી જોઈએ કે તેઓએ (ઇઝરાયલે) પેલેસ્ટિનિયનો સાથે જે કર્યું છે તેના માટે ન્યાય મળે.
તુર્કી નેતન્યાહૂના અપહરણની ફિરાકમાં હોવાનો દાવો
આસિફે કહ્યું, "તુર્કી નેતન્યાહૂનું અપહરણ કરી શકે છે, અને અમે પાકિસ્તાનીઓ તે માટે પ્રાર્થના કરી રહ્યા છીએ." પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનની ટિપ્પણી યુનાઇટેડ સ્ટેટ્સે એક સુનિયોજિત કાર્યવાહીમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી અને તેમને ન્યૂયોર્કમાં ટ્રાયલ પર મૂક્યાના થોડા દિવસો પછી આવી. આસિફે વારંવાર નેતન્યાહૂ વિરુદ્ધ આઈસીસીના ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો અને સૂચવ્યું કે દેશોએ ન્યાય લાગુ કરવો જોઈએ. આઈસીસીએ 21 નવેમ્બર, 2024 ના રોજ નેતન્યાહૂ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું, જેમાં તેમના પર વિવિધ યુદ્ધ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો.