ખંભાળિયા બન્યું રામમય: રામનવમી નિમિત્તે શોભાયાત્રા સહિતના આયોજનો થયા

  • April 07, 2025 11:38 AM 

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા


મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મહાપર્વ એવા શ્રી રામ નવમીની ખંભાળિયામાં ગઈકાલે રવિવારે અનેરા ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.


રામનવમીના પાવન પર્વે રવિવારે સવારથી રામ ભક્તોમાં આસ્થા સાથે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. અહીંના નગર ગેઈટ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત શ્રી રામ મંદિરને અનોખા સાજ શણગાર સજવામાં આવ્યા હતા. આ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીરામની પરંપરાગત શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના ઉપક્રમે ભગવાન શ્રીરામની શોભાયાત્રા અહીંના રામ મંદિર પાસેથી શરૂ થઈ જુદા જુદા રાજમાર્ગો પર ફરી અને રાત્રે શ્રી રામ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. જ્યાં મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના માર્ગને ધજાપતાકાથી શણગારવામાં આવ્યા હતા.


માર્ગમાં આ શોભાયાત્રાનું વિવિધ મંડળો તેમજ સેવાભાવી કાર્યકરો દ્વારા ફટાકડાની રમઝટ તેમજ ઠંડા પીણા વિગેરે વડે ભવ્ય સ્વાગત - સન્માન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના અંતિમ ચરણમાં અહીંના નગર ગેઈટ વિસ્તાર નજીક શ્રીરામ ગ્રુપ (મોટાણી પરિવાર) દ્વારા ભવ્ય સ્વાગત સાથે પેંડા વડે ઉપસ્થિત સૌના મોં મીઠા કરાવી, રામનવમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ શોભાયાત્રામાં યુવા ભક્તોએ તલવારબાજી તેમજ વિવિધ કરતબો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો સાથે ધર્મપ્રેમી નગરજનો જોડાયા હતા.

આ સમગ્ર આયોજન દરમિયાન અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application