શેખ હસીનાને આશ્રય આપવા પર ખાલિદા ઝિયાના પક્ષને પેટમાં દુખ્યું, પૂર્વ વડાપ્રધાન બાંગ્લાદેશમાં મોસ્ટ વોન્ટેડ જાહેર

  • August 10, 2024 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાલિદા ઝિયાની પાર્ટીને શેખ હસીનાનું ભારતમાં રહેવું પસંદ નથી. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશના લોકો આને સકારાત્મક રીતે નહી લે. આ સાથે નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાનનો ભારતમાં રહેવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો અને ભારતીય અધિકારીઓનો નિર્ણય છે. ઉલ્લેખનીય છે કે દેશમાં રાજકીય ઉથલપાથલ બાદ હસીનાએ સોમવારે રાજીનામું આપી દીધું હતું અને ભારત ચાલ્યા ગયા હતા. BNPના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પ્રવક્તા અમીર ખસરુ મહમૂદ ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારે હસીના બાંગ્લાદેશમાં હત્યાઓ અને ગુમ થવાથી લઈને મોટા પાયે ભ્રષ્ટાચાર જેવા વિવિધ ગુનાઓ માટે સૌથી મોસ્ટ વોન્ટેડ છે.


બીએનપીની સર્વોચ્ચ નિર્ણય લેનારી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ચૌધરીએ કહ્યું કે તે હસીનાનો પોતાનો અને ભારત સરકારનો નિર્ણય છે કે તેણે પાડોશી દેશમાં રહેવું જોઈએ કે નહીં. તેમણે કહ્યું કે બીએનપી પાસે આ મુદ્દે કોઈ સત્તા નથી. તેમ છતાં  બાંગ્લાદેશના લોકો માને છે કે ભારતીય સત્તાવાળાઓએ તેમની લાગણીઓને ધ્યાનમાં લેવી જોઈએ. ગુરુવારે 84 વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. એવું માનવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ વચગાળાની સરકાર દેશમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે.


BNP પાર્ટીના પ્રવક્તા અમીર ખસરુ મહમૂદ ચૌધરીએ કહ્યું કે બાંગ્લાદેશના લોકોને લાગે છે કે ભારતીય અધિકારીઓએ તેમની ભાવનાઓનું ધ્યાન રાખવું જોઈએ. બીએનપીના ઉપાધ્યક્ષ અબ્દુલ અવલ મિન્ટુએ પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હસીના ભારત ન આવ્યા હોત તો સારું થાત. તેણે કહ્યું કે જો તે ભારત ન ગયા હોત તો સારું હોત, કારણકે અમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. બાંગ્લાદેશ અને તેના લોકો ભારતને મિત્ર માને છે અને જુએ છે. જો કે  તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, ભારતને તે જે ઈચ્છે તેને આશ્રય આપવાનો અધિકાર છે.


હુસૈને કહ્યું કે શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો તેની અસર એકદમ સ્વાભાવિક છે. ઉદાહરણ તરીકે, જો હું તમને પસંદ નથી કરતો અને કોઈ અન્ય વ્યક્તિ તમને સાથ આપતી હોય તો સ્વાભાવિક રીતે જ મને તે વ્યક્તિ ગમશે નહીં. પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ થવી સ્વાભાવિક છે. પરંતુ હકીકત એ છે કે ભારત-બાંગ્લાદેશ વચ્ચે હંમેશા સારા સંબંધો રહ્યા છે, પછી ભલે અવામી લીગ હોય કે શેખ હસીના સત્તામાં હોય. તેમણે કહ્યું કે જ્યારે BNP સત્તામાં હતી ત્યારે હું બાંગ્લાદેશ સરકારમાં મંત્રી હતો. અમે જોયું કે બંને દેશો વચ્ચે ઉત્તમ સંબંધો છે. ભારત બાંગ્લાદેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે ભારતે હંમેશા બાંગ્લાદેશના લોકોને સમર્થન આપ્યું છે. બંને દેશો વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધો ચાલુ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application