કન્નડ ભાષા સમર્થક સંગઠનો દ્વારા આજે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું એલાન

  • March 22, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકમાં આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજે રાજ્યભરમાં સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી બધું બંધ રહેશે. આ બંધનું નેતૃત્વ 3,000 થી વધુ કન્નડ સમર્થક સંગઠનો કરી રહ્યા છે. બંધનું મુખ્ય કારણ મરાઠી અને કન્નડ ભાષાનો વિવાદ હોવાનું કહેવાય છે, જે છેલ્લા કેટલાક સમયથી બેલગામ ક્ષેત્રમાં તણાવનું કારણ બની રહ્યો છે.


ગઈકાલે બેલગાવીના સુલેભાવી-બાલેકુન્દ્રીમાં એક મરાઠી યુવકે બસ કંડક્ટર મહાદેવ પર હુમલો કર્યા બાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, બસ કંડક્ટરે મુસાફરને કન્નડમાં બોલવાનું કહ્યું હતું, જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો.


આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કન્નડ કાર્યકર્તા વાતલ નાગરાજ કરી રહ્યા છે, જે કન્નડ ચાલુવલી વાતલ પક્ષના પ્રમુખ છે. તેમણે સરકાર સમક્ષ કેટલીક મોટી માંગણીઓ મૂકી છે જેમકે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે તે કન્નડ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને કન્નડ ભાષીઓને હેરાન કરે છે. કર્ણાટકમાં હિન્દી ભાષા ફરજિયાત શિક્ષણનો વિરોધ થવો જોઈએ. કલાસા બંદુરી અને મહાદયી પ્રોજેક્ટ તાત્કાલિક અમલમાં મૂકવો જોઈએ અને ઉત્તર કર્ણાટકનો વિકાસ કરવો જોઈએ.


બંધ દરમિયાન હોસ્પિટલો, દૂધ પુરવઠો અને મેટ્રો સેવાઓ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. પરંતુ બસો, ટેક્સીઓ અને સિનેમા હોલ બંધ રહેશે. બેંગલુરુ મેટ્રો રાબેતા મુજબ કાર્યરત રહેશે. રાજ્યભરમાં હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લા રહેશે. દૂધના પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં આવે. હોસ્પિટલો, તબીબી સેવાઓ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. ખાદ્ય અને હોટેલ ઉદ્યોગ પર કોઈ અસર થશે નહીં.


બીએમટીસી અને કેએસઆરટીસી બસો સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. બેંગલુરુમાં ઓલા, ઉબેર ટેક્સી અને ઓટો સેવાઓ પ્રભાવિત થશે. સિનેમાઘરો અને ફિલ્મ ઉદ્યોગ બંધ રહી શકે છે. બેંક સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે રાજ્ય સરકાર બંધને સમર્થન આપશે નહીં અને કન્નડ સંગઠનો સાથે વાત કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.


દરમિયાન, કન્નડ ઓક્કુટાના નેતા અને કાર્યકર્તા વાતલ નાગરાજે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યવ્યાપી બંધને વ્યાપક સમર્થન મળવાની અપેક્ષા છે, જોકે કેટલાક સંગઠનોની ભાગીદારી અંગે કેટલીક શંકાઓ છે.

મરાઠી અને કન્નડ વિવાદનો ઇતિહાસ ભાષાકીય તણાવના મૂળ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના લાંબા સમયથી ચાલતા સરહદ વિવાદમાં રહેલો છે. જ્યારે 1 મે, 1960 ના રોજ મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ, ત્યારે તેણે બેલગામ, કારવાર અને નિપ્પાની સહિત 865 ગામોનો દાવો કર્યો.


મહારાષ્ટ્રનું કહેવું છે કે આ ગામોમાં મરાઠી ભાષી લોકોની સંખ્યા વધુ છે, તેથી તેમને મહારાષ્ટ્રમાં સામેલ કરવા જોઈએ. પરંતુ કર્ણાટક સરકારે હંમેશા આ દાવાઓને નકારી કાઢ્યા છે. મરાઠી અને કન્નડ સમુદાયો વચ્ચે, ખાસ કરીને બેલગામ ક્ષેત્રમાં, ભાષાને લઈને સમયાંતરે વિવાદો થતા રહ્યા છે. આ મુદ્દાને લઈને બંને રાજ્યોમાં ઘણી વખત રાજકીય તણાવ જોવા મળ્યો છે. રાજ્યવ્યાપી બંધના કારણે જાહેર જીવન, ખાસ કરીને પરિવહન સેવાઓ પર અસર થવાની સંભાવના છે. જોકે, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે, તેથી દૈનિક જીવન સંપૂર્ણપણે ખોરવાશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application