જામનગરને મળશે એક આલીશાન ઓક્સિજન પાર્ક

  • February 22, 2025 10:56 AM 

૧૦,૦૦૦ વૃક્ષોના 'વન કવચ' ને ખુલ્લું મુકવા તંત્રની તૈયારી: જામનગરના લાલવાડી વિસ્તારમાં ૧ કીલોમીટરના વોકીંગ પાથ સાથેના પાર્કમાં બાળ મનોરંજનના સાધનો પણ ગોઠવાયા



જામનગર મહાનગરપાલિકા દ્વારા અપાયેલી ૧ હેક્ટર જગ્યામાં એક-દોઢ વર્ષમાં જ વન વિભાગે ૧૦,૦૦૦ વૃક્ષો વાવીને સર્જી આપેલું 'વન કવચ' હવે માણેકનગર રોડ, લાલવાડી વિસ્તાર, એડ્રસપીર ની દરગાહ નજીક આવેલી સોસાયટીઓ તેમજ નૂરી ચોકડી નજીક આવેલી સોસાયટીઓના રહીશો માટે વોકીંગ પાર્ક તરીકે ખુલ્લું મુકવા માટે તૈયાર થઇ ચુક્યું છે. આ સ્થળે બાળકોના મનોરંજનના સાધનો પણ ગોઠવાયા છે.


ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં જામનગર-દ્વારકા જીલ્લા વન તંત્રના સામાજિક વનીકરણ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સુભાષ બ્રિઝ નજીકથી અન્નપુર્ણા ચોકડી વચ્ચે ના માર્ગ પર એડ્રસપીર ની દરગાહ નજીકના વિસ્તારમાં ૧ હેક્ટર નો ટી.પી. સ્કીમ નં. ૦૧ ના અંતિમ ખંડનો વિશાળ પ્લોટ વન કવચ તરીકે ડેવલપ કરવા માંટે આપ્યો હતો. વન વિભાગના કર્મચારીઓઓ અને ખાસ કરીને ફોરેસ્ટર વિભાગની જહેમતથી દોઢ વર્ષ જેવા સમયગાળામાં આ પ્લોટમાં ૩૮ પ્રકારના ૧૦,૦૦૦ જેટલા વૃક્ષોને ઉછેરવામાં આવ્યા છે.


'વન કવચ' માં વન તંત્ર દ્વારા બાળકો માટે લપસીયા, મેરીગો રાઉન્ડ રાઇડ, હિંચકા તથા ઉંચક-નીચક રાઇડ જેવા સાધનો ગોઠવ્યા છે. તેમજ વન કવચ ફરતે ૧ કીલોમીટર જેટલો વોકીંગ પાથ પણ રચવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક વિસ્તારના નાગરિકો ફીટનેસ માટે આવી શકશે. લોકોના વિસામા માટે અહીં વન વિભાગ ની ઓળખ સમાન એક હટ પણ બનાવવામાં આવી છે. આમ સરકારી તંત્રો ના સંકલન થી જામનગર શહેરના એક વિસ્તારમાં ૧૦,૦૦૦ વૃક્ષો સફળતા પૂર્વક ઉગી શક્યા છે. જે ઓક્સિજન પાર્કની સુવિધા બન્યા છે. વન વિભાગે સ્થાનિક પક્ષીઓને ધ્યાનમાં રાખીને દાડમ, જામફળ, સેતુર, કરમદા, સીંદુરી ઉપરાંત લીંબુ, પારિજાત, નગોળ, અરડુસી, લીમડા સહિતના ૩૮ પ્રકારના વૃક્ષો વાવ્યા છે. આ 'વન કવચ' જામનગર શહેરમાંથી લુપ્ત થયેલી ચકલી જેવા પક્ષીઓના વસવાટ નો આશરો પણ બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application