‘PM મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપવી એ સન્માનની વાત છે...’ માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુનો સુર બદલાયો

  • June 08, 2024 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​માલદીવના ભારત સાથેના સંબંધોમાં તાજેતરમાં ખટાશ આવી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને માલદીવના રાષ્ટ્રપતિના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ શનિવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવી તેમના માટે સન્માનની વાત હશે. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક અવસર પર તેમની આ પ્રથમ ભારત મુલાકાત હશે. આ મુલાકાતથી સ્પષ્ટ થશે કે બંને દેશો વચ્ચેના સંબંધો સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે.


નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મુઈઝુએ આમંત્રણ સ્વીકાર્યું છે. શપથ સમારોહ પ્રસંગે તેઓ ઉપસ્થિત રહેશે. મોદી રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તાજેતરની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા બાદ રાષ્ટ્રપતિએ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.


મોહમ્મદ મુઇઝુને ચીન તરફી રાષ્ટ્રપતિ માનવામાં આવે છે અને ગયા વર્ષે 17 નવેમ્બરે પદ સંભાળ્યા પછી આ તેમની પ્રથમ ભારતની સત્તાવાર મુલાકાત હશે. અગાઉ  તેમના પુરોગામીઓએ પદ સંભાળ્યા પછી પ્રથમ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી પરંતુ મુઇઝુએ પદ સંભાળ્યા પછી પ્રથમ તુર્કીની મુલાકાત લીધી હતી. તે પછી  તેઓ જાન્યુઆરીમાં તેમની પ્રથમ રાજકીય મુલાકાત માટે ચીન ગયા હતા.


પ્રમુખ મુઈઝુને આમંત્રણ પત્ર સોંપવામાં આવ્યું


માલદીવમાં ભારતના હાઈ કમિશનર મુનુ મહાવરે રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે સૌજન્ય મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને આમંત્રણ પત્ર સોંપ્યું. બેઠક દરમિયાન હાઈકમિશનરે વડા પ્રધાન મોદી વતી રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન તરીકે તેમના ત્રીજા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિની હાજરીની રાહ જોઈ રહ્યા છે. રાષ્ટ્રપતિએ આમંત્રણ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવી તેમના માટે સન્માનની વાત હશે.


તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભારત સાથે સંબંધોને વધુ મજબૂત કરવા માટે વડા પ્રધાન સાથે કામ કરવા આતુર છે. તેમણે કહ્યું કે માલદીવ-ભારત સંબંધો સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. કારણકે આ મુલાકાત તે દર્શાવે છે. જો કે  મુઇઝુના કાર્યાલય દ્વારા સતાવાર રીતે જાહેર થયું નથી કે તે ક્યારે ભારત જશે.


ગયા વર્ષે નવેમ્બરમાં શપથ લીધાના થોડા જ કલાકોમાં મુઈઝુએ દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ પેદા કરતા 88થી વધુ ભારતીય સૈન્ય કર્મચારીઓને પોતાના દેશમાંથી હટાવવાની માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application