અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની પ્રતિનિધિઓ વચ્ચે ઇસ્લામાબાદમાં થયેલી બેઠક કોઈ પણ સમજૂતી વગર પૂરી થઈ છે. આ વાટાઘાટો નિષ્ફળ જવાની સત્તાવાર પુષ્ટિ થતાની સાથે જ ઈરાને વૈશ્વિક વેપાર માટે જીવનરેખા સમાન ગણાતા હોર્મુઝ માર્ગ પર પોતાનો પંજો કસ્યો છે. ઈરાનનો આ નિર્ણય વિશ્વભરમાં તેલના ભાવમાં ભડકો કરી શકે છે.
જંગી ફી અને મર્યાદિત અવરજવર
ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકર હાજી બાબાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની હવે સંપૂર્ણપણે ઈરાનના નિયંત્રણમાં છે. ઈરાને લાદેલા નવા પ્રતિબંધો છે. આ માર્ગ પરથી પસાર થનારા દરેક વ્યાપારી જહાજે 2 મિલિયન ડોલર (અંદાજે ₹19 કરોડ) ની મસમોટી ફી ચૂકવવી પડશે. હવેથી આ માર્ગ પર દરરોજ માત્ર 10 જહાજોને પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણયનો અર્થ એ છે કે માલસામાનની હેરફેરનો ખર્ચ અનેકગણો વધી જશે, જે આખરે સામાન્ય ગ્રાહકો પર મોંઘવારી રૂપે ત્રાટકશે.
શા માટે નિષ્ફળ ગઈ ઇસ્લામાબાદ મંત્રણા?
ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘેર ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકી પ્રતિનિધિમંડળ ઈરાનનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું કે, "અમે સકારાત્મક ઈરાદા સાથે ગયા હતા, પરંતુ ભૂતકાળના કડવા અનુભવોને જોતા અત્યારે અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે." આ વિશ્વાસના અભાવે સીઝફાયરની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
વૈશ્વિક સપ્લાય ચેઈન પર મોટું સંકટ
ઈરાનના આ એકતરફી નિર્ણયથી આરબ દેશો અને પશ્ચિમી રાષ્ટ્રોમાં ચિંતા ફેલાઈ છે. યુએઈ (UAE) ની સરકારી તેલ કંપની ADNOC ના વડા સુલતાન અલ જાબેરે આ પગલાનો સખત વિરોધ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હોર્મુઝ માર્ગ પર માત્ર ઈરાનનો જ અધિકાર નથી અને તે પોતાની મરજી મુજબ તેને બંધ કરી શકે નહીં. જહાજો અટકાવવાથી માત્ર કાચું તેલ જ નહીં, પરંતુ જીવનરક્ષક દવાઓ અને ખાદ્ય સામગ્રીના પુરવઠા પર પણ માઠી અસર પડશે.