રાજકોટના વાવડીમાં પારકા ઝગડામાં નિર્દોષ યુવકની હત્યા

  • June 06, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના વાવડીમાં પારકા ઝગડામાં નિર્દોષ યુવકની પાઇપના ઘા ઝીકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મિત્રના ભાઈના ઘરે ગયેલા યુવક ઉપર પાંચ શખ્સોએ પાઇપ વડે જીવલેણ હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું હતું. જયારે મિત્રને ઇજા થઇ હતી. બનાવના પગલે તાલુકા પોલીસ સિવિલ હોસ્પિટલએ દોડી ગઈ હતી. પોલીસે હત્યા કરનાર આરોપી અને તેની સાથેના શખસોને સંકજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

હત્યાના બનાવની મળતી વિગત મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ લક્ષમણ ટાઉનશીપમાં રહેતા શકીલભાઈ મહોમદશાહ શાહમદાર (ઉ.વ.33) અને પીપળીયા હોલ પાસે ભાડાના મકાનમાં રહેતા તેના મિત્ર વિપુલભાઈ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.40) બંને ગઈકાલે માલિયાસણ ચોકડી પાસે હતા ત્યારે શકીલભાઈને કાકાના દીકરા અવેશનો ફોન આવ્યો હતો અને ભગવતીપરામાં આવવા માટે કહ્યું હતું ત્યાંથી અવેશને વાવડીમાં રહેતા તેના પિતાના ઘરે સમાધાન માટે જવું હતું. આથી શકીલ અને મિત્ર વિપુલ મકવાણા બંને બાઇકમાં માલિયાસણ ચોકડીથી વાવડીમાં ખોડિયાર પેલેસમાં રહેતા તેના ભાઈના ઘરે પહોંચ્યા હતા ત્યાં પરિવારજનો સાથે ભત્રીજા અવેશની સમાધાનની વાત ચાલતી હતી દરમિયાન બીજા માળે રહેતા ભગી વાઘેલાની પત્ની અવેશ પાસે ભાડુ લેવા માટે આવી હતી જે બાબતે અવેશ સાથે માથાકૂટ થતા ભગી વાઘેલાની પત્નીએ પતિને ફોન કરી બોલાવતા શકીલ અને મિત્ર વિપુલ મકવાણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉભા હતા ત્યારે ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા અને તેની સાથેના અજાણ્યા બે શખસો પાઇપ લઈને આવ્યા હતા. અને કોઈને ફોન કરતા બીજા બે માણસો પણ સ્કૂટર લઈને આવ્યા હતા અને અવેશના ઘરે જતા દરવાજો બંધ હોવાથી નીચે આવી શકીલને ગાળો આપી કહેવા લાગ્યો હતો કે તારે શું છે ? આથી શકીલએ સમજાવ્યું હતું કે, ખાલી ભાડાની મેટર છે અને ભાડું તમને આપી દેશું આમ કહેતા ભગી વાઘેલા વધુ ઉશ્કેરાયો હતો અને આજે તો તમને પતાવી જ દેવા છે કહી તેના માણસો સાથે મળી આડેધડ પાઇપ અને ધોકા વડે હુમલો કરતા પાઇપના ઘા વિપુલ મકવાણાને માથાના ભાગે લાગી જતા લોહી લુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડ્યો હતો જયારે શકીલને ઇજા થઇ હતી. તાકીદે મિત્ર વિપુલને રિક્ષામાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલએ દોડી ગઈ હતી અને શકીલભાઈ શાહમદારની ફરિયાદ પરથી વાવડીમાં ખોડિયાર પેલેસ ખાતે રહેતા ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા અને તેની સાથેના અજાણ્યા ચાર શખસો સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકમાં જ રાઉન્ડઅપ કર્યા હતા.

મૃત્યુ પામનાર વિપુલ મકવાણા મિત્ર શકીલ સાથે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો અને બે ભાઈ એક બહેનમાં વચેટ હતો. સંતાનમાં એક પુત્ર છે, પત્ની સાથે છૂટાછેડા થઇ જતા માતા-પિતા અને પુત્ર સાથે રહેતો હતો. પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. આગળની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application