મારૂતિનગરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ સંત કબીર રોડ પાસે રહેતા યુવક સાથે ભાગીને કોર્ટ મેરેજ કરી થોડા દિવસ દિલ્હીમાં રહી પતિ સાથે પરીણીતા રાજકોટ સાસરિયાની ઘરે આવી હતી. પરિણીતાને સાસુ અને દાદી સાસુએ ગાળો ભાંડી મારકૂટ કરી હતી. તેમજ આ આપણી જ્ઞાતિની નથી તો તેને મૂકી દે તેમ કહી પતિને ચડામણી કરતા પતિએ પણ પરિણીતાને તરછોડી દેતા સખીવન સ્ટોપ સેન્ટર મારફત સમાધાનનું કહેતા સાસરીપક્ષે સમાધાન ન કરતા પરિણીતાએ અંતે ફરિયાદ નોંધાવી છે.
કુવાડવા રોડ પર મારૂતિનગરમાં માવતરના ઘરે રહેતી પ્રિન્સિબેન હરિભાઈ ઝાપડાએ નંદુબાગ ગઢિયાનગર ન્યુ શક્તિ સોસાયટી શેરી નંબર ૫, સંત કબીર રોડ પાસે રહેતા પતિ હરી વિજયભાઈ ઝાપડા, સાસુ શાંતુબેન, દાદી સાસુ મંજુબેન સામે ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે હરી ઝાપડા સાથે ગત તા. ૦૫/૦૬/૨૦૨૫ના રોજ ભાગીને દિલ્હી ગઇ હતી. ગત તા. ૦૬/૦૬/૨૦૨૫ના રોજ બન્નેએ દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. આઠ દિવસ દિલ્હીમાં રહ્યા બાદ બન્ને તા. ૧૨/૦૬ ના રોજ રાજકોટ આવી આજીડેમ ચોકડી પાસે કે.ડી.એ. હોટલમાં બે ત્રણ દિવસ રોકાયા બાદ પતિ હરી ઝાપડાના મિત્રનો ઘંટેશ્વર પાસે આવેલ ફ્લેટમાં થોડા દિવસ રોકાયા બાદ પરિણીતા પતિ સાથે તા. ૧૮/૦૬ ના રોજ તેમના ઘરે જતા જ ભાગીને લગ્ન કર્યા હોવાથી સાસુ શાંતુબેન અને દાદી સાસુ મંજુબેને પરિણીતાને ગાળો ભાંડી મારમાર્યો હતો. આ આપણા જ્ઞાતિની નથી તું તેને મૂકી દે તેમ પતિને કહી ચઢામણી કરતા પતિએ પણ સાથ છોડ્યો હતો. આથી પરિણીતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી ઘરે બોલાવી સમજાવવા છતાં સાસરીયાપક્ષ પરિણીતાને સ્વીકારવા તૈયાર ન હતા. આથી પરિણીતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રોકાઈ હતી.જ્યાં સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે પરિણીતાના માતા-પિતાને જાણ કરતા ગત તા. ૧૯/૦૬ ના રોજ પિયરપક્ષ પરિણીતાને તેની સાથે માવતરે લઈ ગયા હતા. બાદમાં સખી વન સ્ટોપ સેન્ટર મારફત સમાધાનની વાત કરતા સાસરીયાપક્ષે જણાવેલ કે પ્રિન્સિ અમારી જ્ઞાતિની નથી એટલે અમારે સમાધાન કરવું નથી. આજ દિવસ સુધી પતિનો પણ કોઈ ફોન કે મેસેજ ના આવતા અંતે પરિણીતાએ પતિ, સાસુ દાદી સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.