વ્યાજખોરો સામે ચાલેલી સ્પેશિયલ ડ્રાઈવમાં 565 આરોપીઓ સામે 323 ગુનાઓ દાખલ, 343 આરોપીની કરાઈ અટકાયત

  • August 03, 2024 09:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ સામે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 31 જૂલાઈ સુધીની વાત કરીએ તો 565 આરોપીઓ સામે 323 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 343 આરોપીની અટકાયત કરવામાં આવી છે.


વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને તેમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા તા.૨૧/૦૬/૨૦૨૪થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા ૫૬૫ આરોપીઓ સામે કુલ ૩૨૩ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ૩૪૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. 


રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચલાવાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં કોઇ અનધિકૃત વ્યાજખોર બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. પોલીસે કરેલી આ કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં ઉપરાંત અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે.


સમગ્ર ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં ૧૬૪૮ લોકદરબાર યોજવામાં આવ્યા હતાં. જેમાં ૭૫ હજાર જેટલા નાગરિકો જોડાયા હતાં. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષકશ્રી, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application