કોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું: કોઠારીસ્વામી

  • March 29, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા સ્વામિનારાયણ મંદિરના સંતએ કહ્યું, સંતોના વિવાદિત નિવેદન પર કડક પગલા લઈશું: ગૂગળી બ્રાહ્મણોની સેવાઓને બિરદાવી: દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં સ્વામી નારાયણ સંતો વતી કરબદ્ધ પ્રાર્થના કરું છું: સ્વામી માધવ સ્વરૂપદાસ


દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસે ગઇકાલ તા. 28 માર્ચે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા ગૂગળી બ્રાહ્મણો અને ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.


ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં 'દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,' દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું છે. એને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.


દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારીએ માફી માગી

કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, અમારા સંપ્રદાયમાં વડીલો અને મોટેરાઓ ભેગા થઇ એક મીટીંગનું આયોજન કર્યું છે અને એવો નિર્ણય કર્યો છે કે, પૂર્વે જે કોઇપણ આ પ્રકારના વિવાદો થયા છે તેના પર કોઇ એક્શન લેવી અને ભવિષ્યમાં કોઇ આવી ભૂલ કરે તો તેના પર નક્કોર પગલાં લેવા. બીજું એ કે આ પૂર્વે આમારા સાધુ દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે જે કાંઇ પણ કહેવામાં આવ્યું છે, તો સ્વામી નારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશનો જે કાંઇપણ દ્રોહ થયો છે. તો દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં સ્વામી નારાયણ સંતો વતી કરબદ્ધ પ્રાર્થના કરું છું. સાથે સાથે ગુગળી બ્રાહ્મણ વિશે પણ જે કાંઇ કહેવામાં આવ્યું છે, તો તેના માટે પણ હું દિલગીર છું. સાથે અન્ય જે કોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું.


સંતોના વિવાદિત નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરી

મૂળ સંપ્રદાયના સ્વામીઓ સ્વામી નારાયણને માનતાં હોય તે તે, સ્વામી નારાયણ ધર્મની શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, પાંચ દેવને પૂજવા એવું સ્વામી નારાયણ મહાપ્રભુએ કીધું છે. બીજી વાત એ કે, સ્વામી નારાયણ ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે તમામ સતસંગીઓને કે, તેમણે શિવરાત્રિનું પૂજન કરવું, નવરાત્રિનો ઉત્સવ કરવો, રામનવમીનો ઉત્સવ કરવો, હનુમાન જયંતિનો ઉત્સવ કરવો. આપણા સનાતની ઉત્સવ કરવા સાથે જ તે દિવસે ઉપવાસ પણ કરવો. આવી આજ્ઞા ભગવાન સ્વામી નારાયણ પ્રભુએ કરી છે. ભગવાન સ્વામી નારાયણે શિક્ષાપત્રીમાં ખાસ કહ્યું છે કે, દ્વારકાની યાત્રા મુખ્યપણે કરવી. જીવનમાં એક વખત તો દ્વારકા જવું, જવું ને જવું જ. અમારા સંતસંગીઓ એ અવશ્યપણે દ્વારકાની યાત્રા કરવી.


પાછળથી લોકોએ આ પુસ્તક સાથે ચેડા કર્યા હોય...

'ગોપાળાનંદજી સ્વામીની વાતો' નામના પુસ્તકથી વિવાદ થયો છે. પરંતુ સ્વામી સ્વામી ધામમાં ગયા તે વાતને વર્ષો થઇ ગયા. આ પુસ્તકને લખાયે લગભગ 150 વર્ષ જેવું થયું. આપણે સૌ જાણીએ છીએ કે, પુસ્તક લખાયા પછી તેમાં સુધારા-વધારાઓ થતાં હોય છે, ઉમેરણ કરતા હોય છે લોકો.આ પુસ્તકને લખાયે પણ ઘણા વર્ષો થયા છે. ગોપાલાનંદ સ્વામી તો એવા સ્વામી છે જેમણે સાળંગપુરમાં હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. એટલે ગોપાલા મહારાજજી તો ક્યારેય દ્વારાકાધીશજી વિશે આવું ન કહે. મારું એવું માનવું છે કે, કદાચ પાછળથી લોકો એ આ પુસ્તક સાથે ચેડા કર્યા હોય.


ગૂગળી બ્રાહ્મણોની સેવાઓને બિરદાવી...

કોઠારી સ્વામીએ ગૂગળી બ્રાહ્મણોની સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૂગળી બ્રાહ્મણો યાત્રાળુઓની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તેઓ યાત્રાળુઓને દર્શન કરાવવાથી માંડીને ભોજન કરાવવા સુધીની સેવા કરે છે. જો કોઈ યાત્રાળુ પાસે દક્ષિણા ન હોય તો તેમને પરત જવા માટે ટિકિટ ભાડું પણ આપે છે.


ભવિષ્યમાં માનવાચક શબ્દોનો જ ઉપયોગ કરવાની ખાતરી આપી

સ્વામી માધવ સ્વરૂપદાસે સ્પષ્ટતા કરી કે, સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા સનાતન ધર્મનું સન્માન કરે છે. તેમણે ભવિષ્યમાં પણ માનવાચક શબ્દોનો જ ઉપયોગ કરવાની ખાતરી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ અને ગૂગળી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીઓએ વિવાદનું વાતાવરણ સર્જ્યું હતું. આ વિવાદિત નિવેદનોએ સામાજિક સંગઠનો અને કલાકારોમાં પણ રોષ જગાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application