રાજુલામાં પત્ની ઉપર ચારિત્ર અંગે શંકા કરી પતિએ મારમારતા એસિડ પીધું

  • March 12, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલાના ધારેશ્વરમાં રહેતી પરિણીતાને પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી ઝાપટો અને પાઇપ વડે મારમારી સાળાને ફોન કરી કહ્યું હતું કે, તારી બહેનને લઇ જાજો નહિતર સાવ પતાવી દઈશ તેમજ પત્નીને પણ ધમકી આપતા આ બાબતેનું લાગી આવતા પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવી છે. પત્નીએ પતિ સામે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ધારેશ્વરમાં માંડરડી રોડ ઉપર સાસરિયામાં રહેતી અને મહુવાના ખડસલીયા ગામે માવતર ધરાવતી કૈલાશબેન ચીમનભાઈ વિંઝુડા (ઉ.વ.25)ની પરિણીતાએ રાજુલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન થયાને પાંચ વર્ષ જેટલો સમય થયો છે અને સંતાનમાં દીકરો દીકરો છે. અને અમે સંયુક્ત ઘરમાં એક જ ફળિયે રહીએ છીએ. ગઈકાલે હું ઘરે હતી ત્યારે પતિ કામેથી આવી કહેવા લાગ્યા હતા કે, તે કોઈને ઘરે બોલાવેલ હતો ? જેની મેં ના પાડતા વધુ બોલવા લાગ્યા હતા કેમ તું મારી ગેરહાજરીમાં બધાને ઘરે બોલાવે છે, ગાળો આપી ચારિત્ર્ય ઉપર શંકા કરી બે ઝાપટો મારી હતી અને ફળિયામાંથી લોખંડનો પાઇપ લઈ ઘા મારતા હાથમાં લાગ્યો હતો. વધુ મારથી મારા દેરાણીએ મને છોડાવી હતી. પતિએ મારા ભાઈઓને ફોન કરી કહ્યું હતું કે, તમારી બહેનને લઇ જાજો નહિતર સાવ પતાવી દઈશ અને મને પણ ધમકી આપી હતી.

પતિ આમ અવાર-નવાર મને માનસિક અને શારીરિક ત્રાસ આપી ખોટી શંકા કરતા હોવાથી ગઈકાલે આ બાબતે લાગી આવતા એસિડ પી લીધું હતું. બાદમાં મને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


તું ઉંમરમાં મોટી છો, હાઈટ નીચી છે, આંખ ત્રાસી છે અમરેલીની પરિણીતાને ત્રાસ

અમરેલીના જેસીંગપરામાં પિયરના ઘરે રહેતી વર્ષાબેન સંજયભાઈ બુટાણી (ઉ.વ.32) નામની પરિણીતાએ મૂળ વડિયાના લાખાપાદરના અને હાલ અમદાવાદ ખાતે રહેતા પતિ સંજય રવજીભાઇ બુટાણી અને સાસુ મુક્તાબેન રવજીભાઇ બુટાણી સામે અમરેલી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ-2024માં જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા છે, લગ્નના થોડા સમય રાજકોટ રહ્યા બાદ અમદાવાદ રહેવા ચાલ્યા ગયા હતા. શરૂઆતમાં પતિ, સાસુ અને સસરાએ થોડો સમય સારી રીતે રાખી હતી. બાદમાં પતિ અને સાસુ નાની નાની બાબતોમાં સંભળાવતા અને કહેતા કે તને ઘર કામ આવડતું નથી. તારા માવતરએ તને કાંઈ શીખવાડેલું નથી, મારા ઘરના ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ હતી તો આ બાબતે પણ શંકા કરી પતિ ઝગડો કરતા હતા. પતિ કહેતા કે, તારી ઊંચાઈ નીચી છે, અને તું મારાથી ઉંમરમાં મોટી છો, આંખ ત્રાસી છે, તું બાપ વગરની દીકરી છો, તારામાં સંસ્કાર નથી. સાસુ પણ પતિને ચડામણી કરતા પતિ અવાર નવાર મૂઢ મારમારતા ઇજા થવાથી સાસુ સસરા દવાખાને પણ લઇ ગયા હતા.

આ કારણે હું રિસામણે આવી ગઈ હતી બાદમાં ફરી સમાધાન કરી મને તેડી ગયા હતા. પરંતુ ફરીથી કરિયાવર બાબતે મેણાંટોણાં મારવાનું શરૂ કર્યું હતું. હું મંદિરે દર્શન કરીને ઘરે આવી ત્યારે પતિએ વાળ પકડીને તું ક્યાં ગઈ હતી આથી મેં મંદિરે ગઈ હોવાનું કહેતા મારા ભાઈના સમ ખવડાવ્યા હતા. આ સમયે 181માં ફોન કરતા એ લોકો આવીને સમજાવીને ચાલ્યા ગયા હતા અને પતિએ ધમકી આપી હતી કે, તું અમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ અને તારા ભાઈના ટાંટિયા ભાંગી નાખીસ બનાવની મારા ભાઈને જાણ કરતા પરિવારજનો સાથે આવી મને તેડી ગયા હતા.

પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિ અને સાસુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application