પાકિસ્તાન નાગરિક વિમાનોનો ઢાલ તરીકે કેવી રીતે કરી રહ્યું છે ઉપયોગ... કર્નલ સોફિયા કુરેશીએ ફોટા બતાવીને કર્યો પર્દાફાશ

  • May 09, 2025 06:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ભારતના ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી, ખાસ કરીને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ સતર્કતા દાખવી અને આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ કાર્યવાહી બાદ આજે શુક્રવારે, કેન્દ્ર સરકારે આ ઘટના પર ઔપચારિક પ્રેસ બ્રીફિંગ યોજી.


વિદેશ મંત્રાલય દ્વારા સાંજે 5:30 વાગ્યે એક પ્રેસ બ્રીફિંગ યોજાઈ હતી. આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે નવી માહિતી આપી. આ દરમિયાન કર્નલ કુરેશીએ પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ફોટોગ્રાફ્સ બતાવ્યા અને જણાવ્યું કે કેવી રીતે પાકિસ્તાને હુમલા દરમિયાન નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરવાનો શરમજનક પ્રયાસ કર્યો. ભારતે ચેતવણી આપી હતી કે આવા કાયર કૃત્યોનો યોગ્ય જવાબ આપવામાં આવશે.


કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર કર્યો. ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તંગધાર, ઉરી અને ઉધરપુરમાં ભારે ગોળીબાર થયો. પાકિસ્તાની ગોળીબારથી નુકસાન થયું છે. તેમણે તસવીર બતાવતા કહ્યું કે ભારતીય વાયુસેનાએ ખૂબ જ સંયમ દાખવ્યો છે. પાકિસ્તાને ભારતમાં 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.



તેમણે વધુમાં કહ્યું કે શરૂઆતની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ હુમલામાં તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ તરત જ આ હુમલાનો જવાબ આપ્યો અને ડ્રોન વળતો હુમલો કર્યો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર સિસ્ટમ સંપૂર્ણપણે નાશ પામી. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું છે અને આ તેના લશ્કરી ઓપરેશન્સ માટે એક મોટો આંચકો છે.



કર્નલ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નથી પરંતુ તેનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો છે. જ્યારે આ હુમલો થયો ત્યારે કરાચી અને લાહોર જેવા મોટા શહેરોમાં પેસેન્જર વિમાનો ઉડાન ભરી રહ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સહિત તમામ ફ્લાઇટ્સમાં મુસાફરી કરતા નાગરિકો માટે આ જોખમી હતું. ભારતીય સુરક્ષા દળોએ સમગ્ર કાર્યવાહી દરમિયાન સંયમ રાખ્યો અને નાગરિકોને નુકસાન ન થાય તે માટે મર્યાદિત વળતા હુમલા કર્યા. આ રક્ષણાત્મક અને સંવેદનશીલ વલણની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ રહી છે.


એક પ્રેસ બ્રીફિંગમાં, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને કંદહાર, ઉરી, પૂંછ, રાજૌરી, અખનૂર અને ઉધમપુર જેવા નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબાર કરીને ભારત સામે ઉશ્કેરણીજનક લશ્કરી કાર્યવાહી કરી છે. આ હુમલામાં ભારતીય સુરક્ષા દળોને થોડું નુકસાન અને ઈજાઓ થઈ છે, જોકે, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું છે.


મિસરીએ એમ પણ કહ્યું કે ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ છતાં પાકિસ્તાને તેનું નાગરિક હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નથી, જે એક ખતરનાક અને બેજવાબદાર પગલું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે, જેનાથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application