સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટની શાળામાં ચાલતા હોમ સાયન્સના અભ્યાસક્રમ પર જોખમ

  • March 10, 2025 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને હોમ સાયન્સનો અભ્યાસક્રમ ભણાવતી સૌરાષ્ટ્રની એકમાત્ર રાજકોટની કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં નવા શૈક્ષણિક સત્રથી આ અભ્યાસક્રમ બંધ થાય તેવી નોબત આવી છે.

ગુજરાતમાં શાળા કક્ષાએ હોમ સાયન્સનો અભ્યાસક્રમ રાજકોટ આણંદ અને ભુજમાં ચાલી રહ્યો છે. રાજકોટમાં આગામી સત્રથી તે બંધ થવાની વાતો થઈ રહી છે અને આણંદ તથા ભુજમાં પણ હાલત સારી નહીં હોવાનું બહાર આવી રહ્યું છે. શાળા કક્ષાએ હોમ સાયન્સના અભ્યાસક્રમ માટે સરકાર કક્ષાએ કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાના કારણે દરેક શાળાઓ પોતાની રીતે અભ્યાસક્રમ તૈયાર કરે છે અને તેના કારણે કોર્સમાં એકસૂત્રતા જળવાતી નથી. સરકાર તરફથી અન્ય અભ્યાસક્રમોમાં પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે પરંતુ શાળા કક્ષાના હોમ સાયન્સના અભ્યાસક્રમમાં આવા કોઈ પુસ્તકો આપવામાં આવતા નથી. શિક્ષકોની ભરતી વર્ષોથી બંધ છે અને સરકાર તરફથી કોઈ પ્રકારની ગ્રાન્ટ મળતી ન હોવાથી મોટાભાગે સેલ્ફ ફાઇનાન્સ પેટર્ન પર આ અભ્યાસક્રમ ચલાવવામાં આવતો હોય છે.

હોમ સાયન્સના અભ્યાસક્રમની જ્યારે બોલબાલા હતી ત્યારે હોસ્પિટલો,હોટેલો વગેરેમાં નોકરી માટેની તક હતી પરંતુ ધીમે ધીમે તે ઓછી થતી ગઈ છે અને વિદ્યાર્થીઓ પણ અન્ય પ્રવાહ તરફ વળી રહ્યા હોવાથી સંખ્યાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. રાજકોટની કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં અત્યારે 29 વિદ્યાર્થીનીઓ છે અને તેની બેચ પસાર થયા પછી નવા સત્રથી આ અભ્યાસક્રમ બંધ કરવામાં આવે તેવી વાતો બહાર આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application