જામનગરમાં કૌશલ નગર વિસ્તારમાં રહેતા અને નૂરી ચોકડી પાસે નાસ્તાની રેકડી ચલાવતા પિતા પુત્ર અને તેના ભાઈ ભાભી ઉપર ગઈકાલે ૩ શખ્સોએ હીચકારો હુમલો કરી દીધો હતો. નાસ્તાની રેકડી બંધ થઈ ગઈ હોવા છતાં ધરાર નાસ્તો આપવાના પ્રશ્ને તકરાર કર્યા પછી ગિરિ ડોના અને તેના બે સાગરિતોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં કૌશલ નગર વિસ્તારમાં રહેતા રાજેશ હેમંતભાઇ પરમાર નામના ૪૧ વર્ષના સતવારા યુવાન, કે જે ભેળની રેકડી ચલાવે છે, અને નૂરી ચોકડી પાસે ઊભા રહીને વેપાર કરે છે. ગઈકાલે જેઓની રેકડી બંધ થઈ જતા પોતાની રેકડી લઈને ઘર તરફ આવ્યા હતા.
જે દરમિયાન ગુલાબનગર વિસ્તારમાં રહેતો ગીરીરાજ ઉર્ફે ગીરી ડોન રઘુભા જાડેજા પોતાના અન્ય બે સાગરીતો સાથે નાસ્તો કરવા માટે આવ્યો હતો, અને ભેળ ની માંગણી કરી હતી.
પરંતુ રેકડી બંધ થઈ ગઈ હોવાથી અને કોઈપણ પ્રકારના નાસ્તો વધ્યો ન હોવાથી રાજેશભાઈએ નાસ્તો આપવાની ના પાડી હતી.
જેથી ત્રણેય આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા, અને રાજેશભાઈ ઉપર હવા ભરવાના લોખંડના પંપ વડે હુમલો કરી દીધો હતો. આ બનાવ સમયે છોડાવવા માટે વચ્ચે પડેલા તેના પિતા હેમંતભાઈ પરમાર ઉપરાંત તેના મોટાભાઈ દીપકભાઈ અને તેના પત્ની નયનાબેન જેઓએ પણ વચ્ચે છોડાવાનો પ્રયત્ન કર્યો હોવાથી ત્રણેય આરોપીઓ દ્વારા સમગ્ર પરિવાર ઉપર હુમલો કરી દેવાયો હતો, જેથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ત્રણેય હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરાંત તમામ ઇજાગ્રસ્ત ને પ્રાથમિક સારવાર લેવી પડી છે. જે બનાવ અંગે પીએસઆઇ વી.આર. ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.