હોર્મુઝની સામુદ્રધુની પાસે ગુજરાતના જહાજો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. 13 મેની વહેલી સવારે ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ગુજરાતના ‘હાજી અલી’ જહાજ પર વિસ્ફોટક હુમલો કરવામાં આવતા જહાજમાં આગ લાગી હતી અને અંતે તે સમુદ્રમાં ડૂબી ગયું હતું.
હુમલાની ઘટના અને બચાવ કામગીરી
આ જહાજ બેરબેરા પોર્ટથી શારજાહ જઈ રહ્યું હતું ત્યારે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સના જણાવ્યા અનુસાર, સવારે આશરે 3:30 વાગ્યે જહાજ સાથે કોઈ વિસ્ફોટક વસ્તુ અથડાવાનો અવાજ આવ્યો હતો, ત્યારબાદ તરત જ આગ ફાટી નીકળી હતી. સ્થિતિ ગંભીર બનતા જહાજ પરના તમામ 14 ક્રૂ મેમ્બર્સ લાઈફ બોટની મદદથી જહાજ છોડીને દરિયામાં ઉતરી ગયા હતા. ઓમાનના સત્તાધીશોએ તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
ભારત સરકારની કડક પ્રતિક્રિયા
ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જારી કરીને આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે વ્યાપારી જહાજો અને નિર્દોષ નાવિકોને નિશાન બનાવવાની ઘટનાઓ સહન કરવામાં આવશે નહીં. વિદેશ મંત્રાલયે ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવવા બદલ ઓમાનના સત્તાધીશોનો આભાર માન્યો હતો. ભારતે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે વ્યાપારી શિપિંગને નિશાન બનાવવાથી અને નેવિગેશનની આઝાદીમાં અવરોધ ઊભો કરવાથી બચવું જોઈએ.
સપ્તાહમાં બીજી ઘટના
ચિંતાની વાત એ છે કે છેલ્લા 7 દિવસમાં ગુજરાતના જહાજ પર હુમલાની આ બીજી ઘટના છે. આ પહેલા 7 મેના રોજ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલું દ્વારકાનું માલવાહક જહાજ ‘MSV AL ફૈઝ નૂરે સુલેમાની-I’ અમેરિકા અને ઈરાનની નેવી વચ્ચે થયેલા ગોળીબારની લપેટમાં આવ્યું હતું. મધ્ય પૂર્વમાં વધતા જતા યુદ્ધના માહોલ વચ્ચે દરિયાઈ માર્ગે વેપાર કરતા ગુજરાતી માલવાહક જહાજો માટે સુરક્ષાનો પ્રશ્ન હવે વધુ ગંભીર બની રહ્યો છે.