વર્તમાન સમયમાં વધતા જતા પ્રદૂષણ અને પેટ્રોલ-ડીઝલના મર્યાદિત જથ્થાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના મંત્રીઓએ એક નવીન પહેલ કરી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રીઓએ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી જનતાને પર્યાવરણ સુરક્ષા અને ઉર્જા બચતનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
મંત્રીઓની ઇકો-ફ્રેન્ડલી પહેલ
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળી આજે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યારે તેઓ પોતાના સત્તાવાર વાહનને બદલે ઇલેક્ટ્રિક સ્કૂટર પર સવાર થઈને કેબિનેટ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમની સાથે જ શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા પણ પ્રદૂષણ મુક્ત અભિગમ અપનાવતા ઇલેક્ટ્રિક કારમાં સચિવાલય ખાતે આવી પહોંચ્યા હતા. મંત્રીઓના આ સાદગીપૂર્ણ અને પર્યાવરણલક્ષી અભિગમને સચિવાલયના કર્મચારીઓ અને નાગરિકોએ વધાવી લીધો હતો.
આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા વનમંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, "વર્તમાન પરિસ્થિતિમાં ઇંધણની બચત કરવી એ સમયની માંગ છે. ઇલેક્ટ્રિક વાહનોના વપરાશથી માત્ર ખર્ચ જ નથી બચતો, પરંતુ આપણે આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ પણ આપી શકીએ છીએ." તેમણે રાજ્યના નાગરિકોને પણ વિનંતી કરી હતી કે ટૂંકા અંતરના પ્રવાસ માટે ઇલેક્ટ્રિક વાહનોનો વધુમાં વધુ ઉપયોગ કરી ગ્રીન ગુજરાતના નિર્માણમાં સહભાગી બને. સરકારના ઉચ્ચ પદસ્થ મંત્રીઓ જ્યારે પોતે અમલ કરીને ઉદાહરણ પૂરું પાડે છે, ત્યારે તેની સમાજ પર ઊંડી અસર પડે છે. આજની આ ઘટનાએ સાબિત કર્યું.