તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન, જાણો કચેરીના વડાએ ક્યું પ્રમાણપત્ર આપવાનું રહેશે

  • May 29, 2025 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઓલ ઈન્ડિયા સર્વીસીઝ (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”  શરૂ કરવામાં આવી છે.  PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આ તમામ કર્મીઓને મળવાપાત્ર બને છે.  આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા કર્મીઓ, પેન્શનર્સ અને તેમના કુટુંબીજનો માટેની નિયત સૂચના અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. 

ઉપરાંત  “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”  (કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ) સહાય મેળવવા માટે PMJAY યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે. જે કાર્ડની ફાળવણી સ્ટેટ હેલ્થ એજન્સી (SHA) ને સોંપવામાં આવી છે. 


કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહે

રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સના કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા(તબીબી સારવાર) નિયમો, 2015 ના નિયમોમાં જણાવેલ કુટુંબની વ્યાખ્યા મુજબ અને AISના અધિકારીઓના કિસ્સામાં તેમને લાગુ પડતા AIS(Medical Attendance) Rules, 1954 અંતર્ગત કુટુંબની વ્યાખ્યા મુજબની પાત્રતા ધરાવતા હોય તેવા આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતુ પ્રમાણપત્ર આપવાનું રહેશે.  આ તમામ કર્મીઓ જ્યાં કાર્યરત હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. 


કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે

AIS અને રાજ્ય સરકારના પેન્શનર્સના કિસ્સામાં પેન્શનર જે જિલ્લા તિજોરી કચેરી/ પેટા તિજોરી કચેરી/ પેન્શન ચૂકવણાં કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય તે જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારી/ પેટા તિજોરી અધિકારી/ પેન્શન ચૂકવણા અધિકારી/ પગાર અને હિસાબ અધિકારી દ્વારા અથવા વિકલ્પે જે કચેરીમાંથી નિવૃત થયા હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. E-KYC કરી સહાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે


તો કુટુંબના સભ્યોના નામ કમી કરવામાં આવશે

ફિક્સ પગારના કર્મચારીના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂંક આપ્યા વિના સેવા સમાપ્ત કરવામાં આવે અથવા કોઈ અધિકારી/કર્મચારી સેવા છોડીને જાય અથવા રાજીનામું આપે અથવા શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્તિ કરવામાં આવે અને કાર્યવાહીના અંતે સંબંધિત સરકારી અધિકારી/કર્મચારી તેને લાગુ પડતા પેન્શનના નિયમો મુજબ પેન્શનર ગણવાપાત્ર ન રહે તેવા કિસ્સામાં તેણે છેલ્લે જ્યાં ફરજ બજાવી છે તે કચેરીના વડાએ SHAને તે અંગેની સત્વરે જાણ કરવાની રહેશે. જેના આધારે SHA દ્વારા PMJAY માં આ યોજના હેઠળના લાભાર્થી તરીકેના નામમાંથી તેઓ અને તેઓના કુટુંબના સભ્યોના નામ કમી કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application