કપાસના પાકને રોગચાળાથી બચાવવા અપાયુ માર્ગદર્શન

  • September 03, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં કપાસના પાકને રોગચાળાથી બચાવવા માર્ગદર્શન અપાયુ હતુ.
પોરબંદર જિલ્લા પંચાયત, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા કપાસના ઉભા પાકમાં પેરાવિલ્ટના નિયંત્રણ માટે લેવાના થતા પગલા વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ, નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવુ. અસરગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો, પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે. 
મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણાં પાડવા, અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૧% યુરીયાનું દ્રાવણ રેડવુ તેમજ ૧ ગ્રામ કોબાલ્ટ ક્લોરાઇડ ૧૦૦ લીટરમાં ઓગાળી દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
 આ માવજત ખેતરમાં સુકારાની શ‚આતના ૧૨ કલાકમાં જ કરવી. છોડ ઉપર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષકતત્વોની અછત જોવા મળે તેમાં ૧૯-૧૯-૧૯ (એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ+ ૧૫ ગ્રામ માઇક્રોમિક્સ ગ્રેડ-૪, ૧૦ લીટર પાણીમાં ઓગાળી પાન ઉપર છંટકાવ કરવો. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ જન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ ૧% દવાનુ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે તૈયાર કરીને છોડની ફરતે રેડવુ. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.  
આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application