ભારે વરસાદથી પાકને નુકશાન થયુ હોય તેવા કેસમાં સરકાર સહાય ચુકવશે: કૃષિમંત્રી

  • August 22, 2024 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર ભારે વરસાદથી પાકને નુકશાન થયુ છે તેવા કેસમાં સરકાર સહાય ચુકવશે
વિધાનસભામાં તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ જિલ્લાના ૧૬ તાલુકામાં અને તેમાંય ખાસ કરીને ઘેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂનોના પાકને થયેલ નુકશાન સામે રાજ્ય સરકાર એસ.ડી.આર.એફ. ના ધોરણો મુજબ ખેડૂતોને સહાય કરવા માંગે છે કે કેમે તે અંગે પ્રશ્ર્ન કર્યો હતો. જેના જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે  જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયું છે ત્યાં તાત્કાલિક અસરથી સર્વે ચાલુ કર્યો છે, સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે, સર્વે બાદ જે કેસમાં ખેડૂતને ૩૩% થી વધારે નુકશાન થયેલ હશે તે કેસમાં એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણો મુજબ હેક્ટર દીઠ ‚પિયા ૮,૫૦૦ ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે. આ ઉપરાંત ખાતરી આપી હતી કે એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણોથી પણ વધારે સહાયની જ‚ર જણાશે તો સરકાર તે મુજબ સહાય આપવા માટે તૈયાર છે. 
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે ખેડૂતોને ભારે વરસાદના કારણે નુકસાન થયેલ છે તે ખેડૂતોને રાજ્ય સરકારે ઉદાર હાથે સહાય આપવાની તૈયારી દર્શાવી છે. જે માટે હું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું. 
વધુમાં જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારમાં જે કાયમી ધોરણે પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને ઝડપથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. તેના કારણે દર વર્ષે ચોમાસામાં જે નુકસાન થાય છે તેને નિવારવા માટે ગત વર્ષે હું જ્યારે વિપક્ષનો સભ્ય હતો ત્યારે પણ રજુઆત કરી હતી અને તે વખતે ભુપેન્દ્રભાઈ પટેલે ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ જળસંપત્તિ અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. તે પછી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સેકોન પ્રા.લી. નામની રાષ્ટ્રીય સ્તરની એન્જિનીયરીંગ કંપનીને સ્થિતિનો અભ્યાસ કરીને તેના ઉકેલો સુચવા અંગેનો અહેવાલ તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. જે કામગીરી અંતિમ તબક્કામાં છે. એકાદ બે મહિનામાં આ અહેવાલ સુપરત થઈ જાય તેના આધારે જે કંઈ નદીઓ, ઉંડી પહોળી કરવાની કામગીરી, કેનાલો બનાવવાની છે અને નદીઓના મુખ પહોંળા કરવાના છે અને એ ઉપરાંત જે પાણી સંગ્રહ સહિતની યોજનાઓ કાર્યરત થશે તો ઘેડ વિસ્તારની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. જે માટે પણ હું સરકારનો આભાર માનું છું. 
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઘેડ બામણાસાથી શ‚ કરીને બાલાગામ સુધીનો ૧૨ કી.મી. નો વિસ્તાર છે કે જ્યાં ઓઝત નદી એકદમ સાંકડી થઈ ગઈ છે, ત્યાં તમામ ખેડુતોએ દબાણો દુર કરવાની ખાતરી આપેલી છે, તેમજ નદીની વહન ક્ષમતા ૧ લાખ ૩૬ હજાર ક્યુસેક હોવી જોઈએ તેની સામે આજે ૨૫-૨૬ હજાર ક્યુસેક જ રહી છે, ત્યારે નદીની પુરતી ક્ષમતા વધે તે માટે ખેડૂતો દબાણ દુર કરવા સહમત થયા છે અને રાજ્ય સરકારે પણ આ માટે યોજનાઓના અમલની તૈયારી દર્શાવેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application