રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ

  • September 24, 2023 06:16 PM 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત રાસાયણિક ખેતીમુક્ત બને અને સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત રોલ મોડલ બને તેવા સ્વપ્નને યાદ કરી પ્રાકૃતિક ખેતી અંગે સ્વયંના અનુભવનો નિચોડ ખેડૂતો સમક્ષ રજુ કર્યો હતો.


ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળતા અચકાતા હોવાનું મુખ્ય કારણ કૃષિ પેદાશમાં ઘટાડા અંગે ચિંતા અને ડર હોવાનું રાજ્યપાલ એ જણાવતાં કહ્યું હતું કે, રાસાયણિક ખેતીમાં યુરિયા, ડી.એ.પી., જંતુનાશક દવાઓનો મોટા પાયે વપરાશ કરવો પડે છે. જે ખર્ચાળ છે અને જમીનને નુકસાન પણ કરે  છે, જયારે પ્રાકૃતિક ખેતીમાં માત્ર ગાયના ગોબર અને મૂત્ર દ્વારા ઓછા ખર્ચે વધુ કૃષિ પાક લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થતો જશે તેમ રાજ્યપાલશ્રીએ ખાતરી આપતાં જણાવ્યું હતું.


પ્રાકૃતિક ખેતીને પ્રકૃતિ સાથે જોડતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જંગલની અંદર ઉછરતા ઝાડ -પાન,  ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી અને કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શક્તી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ ના શકે, ? તેવો પ્રશ્ન ઉઠાવી રાજ્યપાલશ્રીએ આ વિચારને મૂર્તિમંત કરવાનો મંત્ર ખેડૂતોને  આપ્યો હતો.


દેશમાં જ્યારે અન્નની મોટા પાયે જરૂરિયાત હતી ત્યારે હરિત ક્રાંતિ થકી આપણે કૃષિ ઉત્પાદન વધારવા રાસાયણિક ખેતી અપનાવી, યુરિયા, ડી.એ.પી. જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કર્યો, જેનાથી જમીનની કાર્યક્ષમતા ઘટી અને જમીન ઉજ્જડ અને બિનઉપજાઉ બની. રાસાયણિક ખેતીને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૫  થી નીચે આવી ગયું હોઈ જમીનને પુનઃ કાર્યક્ષમ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું શ્રી દેવવ્રતજીએ જણાવ્યું હતું.


જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવી રાજ્યપાલશ્રીએ સ્વયં પોતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી તેના ત્રણ વર્ષની અંદર જમીનનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતાં તેમાં ઓર્ગેનિક કાર્બન ૧.૭ ઉપર આવી ગયો છે, તેમ જ એક એકરમાં ૩૨ ક્વિન્ટલ અનાજ પેદા થયું છે, જે પ્રાકૃતિક ખેતીની સફળતા દર્શાવે છે.



પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત એક દેશી ગાયના એક દિવસના ગોબર અને મૂત્રથી જ તૈયાર થઈ જશે, આ જીવામૃતના છંટકાવ થકી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયાઓ ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામ કરે છે,  તેનાથી જમીન ફળદ્રુપ બને છે અને નિંદામણની જરૂર પડતી નથી, તેમ રાજ્યપાલશ્રીએ માહિતી આપી ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે, યોગ્ય રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો એક વર્ષની અંદર રાસાયણિક ખેતીની લગોલગ કૃષિ પેદાશ થઈ જશે અને દર વર્ષે ઉત્પાદનમાં સતત વધારો થતો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application