ગુજરાતમાં જાતીવાદી હુમલા ઉપર બ્રેક મારવા સરકાર જાગે

  • June 04, 2025 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં જાતીવાદી હુમલાઓનું પ્રમાણ વધ્યુ છે જેમાં અનુસૂચિત જાતિસમાજ અને આદિવાસી ઉપર જાતીવાદી હુમલા અને સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. ઉપર થઇ રહેલ અન્યાય સામે આક્રોશ ઠાલવીને સ્વયમ્ સૈનિકદળ દ્વારા પોરબંદરના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
 પોરબંદર જિલ્લામાં સ્વયમ્ સૈનિક દળ (એસ.એસ.ડી.) દ્વારા એક ખૂબ ગંભીર અને તાત્કાલિક ન્યાયની માંગ સાથે ગુજરાતના રાજ્યપાલ તથા મુખ્યમંત્રીને પોરબંદરના જિલ્લા કલેક્ટરમારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ આવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં દલિત અને આદિવાસી સમુદાયના લોકો સામે હિંસક અત્યાચાર, સામાજિક બહિષ્કાર, દુષ્કર્મ, અને હત્યા જેવી ઘટનાઓમાં દિન-પ્રતિદિન ભયજનક વધારો થઈ રહ્યો છે, જેમાં માત્ર સામાજિક નહીં પરંતુ વહીવટી સ્તરે પણ ઊંડો જાતિવાદ પ્રવર્તી રહ્યો છે. તાજેતરના ઉદાહરણો દર્શાવે છે કે કેવળ ‘બેટા’ કહી દેવા પર હત્યા, લસ્સી પીવા ગયેલા યુવાનો પર હુમલો, અને નાબાલિક છોકરીની વેચાણ અને ગેંગરેપ જેવી ઘટનાઓ છેલ્લા ત્રણ-ચાર માસમાં જ ઘટનાઓ બનવા પામેલ છે, છતાં પણ ત્તંત્ર અને સરકાર આંખ આડા કાનને મૂંગી અને બેરી થઈ ગઈ હોય તેવું લાગે છે, અને પોલીસ દ્વારા આવા ગુનાઓમાં યોગ્ય કાનૂની પગલાં લેવામાં ઉદાસીનતા દેખાઈ રહી છે.
 આ ઉપરાંત જી.પી.એસ.સી. (ગુજરાત જાહેર સેવા આયોગ) જેવી સંસ્થાઓમાં પણ ભરતી પ્રક્રિયામાં ઊંડો જાતિવાદ અને ભેદભાવ દર્શાવતી કાર્યવાહી સામે એસ.એસ.ડી. એ ગંભીર આક્ષેપો સાથે આવેદન રજૂ કર્યા છે. આવેદનમાં ઉલ્લેખ કરાયો છે કે એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. સમુદાયના લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને તેમની હકદારીના સ્થાને ઉચ્ચ જાતિના ઉમેદવારોને વધારે ગુણ આપીને પસંદ કરાય છે, જે અમારા હક્કોનું ઘોર ઉલ્લંઘન છે. આ બૌદ્ધિક જાતિવાદી અન્યાય એટલો ઘાતક છે કે આજે પણ એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. મૂળનીવાસી સમુદાય પોતાનો અંગુઠો કાપવામાં આવે છે તેવો અનુભવ રહ્યો છે  માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક અને વ્યવસ્થાત્મક સ્તરે પણ અન્યાય થઇ રહ્યો છે.
 આવેદનમાં એસ.એસ.ડી. દ્વારા રાજ્ય સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે: તમામ અત્યાચારની ઘટનાઓમાં તાત્કાલિક  એફ.આઇ.આર.નોંધાવી કડક કાર્યવાહી કરવી, જી.પી.એસ.સી. ની તમામ ભરતી પ્રક્રિયાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર સમિતિ રચવી,એસ.સી/એસ.ટી./ઓ.બી.સી. ઉમેદવારો માટે ન્યાયી ઇન્ટરવ્યૂ પેનલ અને પારદર્શક માર્કિંગ સિસ્ટમ અમલમાં મૂકવી,  શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે સમુદાયના અધિકારોનું સાચું સંરક્ષણ સુનિશ્ર્ચિત કરવું, અને  રાજ્યમાં કાર્યરત એસસી-એસટી પેનલને વધુ સક્રિય અને જવાબદાર બનાવવી.  વધુમાં અમારી સાથેની વાતચીતમાં એસ.એસ.ડી.ના સૈનિક - સમ્યકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક અને ઉચિત પગલાં ન લેવાય તો રાજયભરમાં અસંતોષ, અસમાનતા અને ન્યાય પ્રત્યે વિશ્વાસનો ભંગ ઊભો થઈ શકે છે, જે લોકશાહી વ્યવસ્થાના મૂળ આધાર સ્તંભો માટે ગંભીર ચેતવણી‚પ છે. એસ.એસ.ડી.એ  ન્યાય માટે પોકાર ઊપાડ્યો છે, અને સરકારને એ પ્રશ્ન પૂછ્યો છે કે શું આજે પણ સામાન્ય નાગરિકે સમાન અધિકારથી જીવન જીવવાનો હક સાચવ્યો છે કે નહિ!
એસ.એસ.ડી. એ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાનૂની અને વહીવટી પગલાં નહીં લેવાય તો ગુજરાતના એસ.સી/એસ.ટી./ઓ.બી.સી. મૂળનીવાસી લોકો પોતાના ઉપર થઈ રહેલા અન્યાયકારી ઘટના અને નીતિને આવેદનના મધ્યમે નહીં પરંતુ રસ્તે ઉતરીને પણ અમારા હક્ક માટે લડવા પાછા નહીં પડીએ. તેમ પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application