મનપામાં કાલે જનરલ બોર્ડ; એટલાન્ટિસ અગ્નિકાંડ ગુંજશે

  • March 18, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે તા.૧૯ માર્ચને બુધવારે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડ મિટિંગ મળનારી છે જેના પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર મંજુબેન કુંગશિયાનો આરોગ્ય શાખાને લગતો મેલેરિયા શાખાની કામગીરી અંગેનો પ્રશ્ન ચર્ચામાં આવશે. જ્યારે બીજી બાજુ મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં વિપક્ષી કોર્પોરેટરો કોમલબેન ભારાઇ, ભાનુબેન સોરાણી અને મકબુલ દાઉદાણી વિગેરે દ્વારા એટલાન્ટિસ એપાર્ટમેન્ટ અગ્નિકાંડ ગજાવવા તૈયારી શરૂ કરાયાનું જાણવા મળે છે.

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર બિગ બઝાર સામે આવેલા એટલાન્ટિસ હાઇરાઇઝ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ધૂળેટીના દિવસે સવારે ભભૂકેલી આગમાં ત્રણ યુવાનના મૃત્યુ નિપજયા હતા, જયારે અન્ય ચાર દાઝી જતા ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર શહેરના તમામ હાઇરાઇઝ એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર એનઓસી અંગે કડક ચેકિંગ શરૂ કરી નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરાઇ છે. દરમિયાન વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ પૂછેલા પ્રશ્નો આમ પણ પ્રશ્નકાળમાં પાછળના ક્રમે હોય ચર્ચામાં આવે તેવી શક્યતા નહીંવત હોવાથી એટલાન્ટિસ અગ્નિકાંડ મુદ્દે વિપક્ષ ચર્ચાની માંગણી કરશે તેમ જાણવા મળે છે.

આવતીકાલની જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં કુલ છ દરખાસ્તો અંગે નિર્ણય થનાર છે જેમાં (૧) રાજકોટ મહાનગરપાલિકાની હદ્દમા આખરી નગર રચના યોજના નં.૯ રાજકોટના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુંના અનામત પ્લોટ નં.એસ.આઈ.૫/પૈકીની જમીન રાજકોટ રાજપથ લિ.ને સીએનજી બસ ડેપો બનાવવા માટે ફાળવવા (૨) વોર્ડ નં.૩માં એઈમ્સ હોસ્પિટલવાળા રોડ પર આવેલ સર્કલનું ઈશ્વરીયા મહાદેવ સર્કલ નામકરણ કરવા (૩) વોર્ડ નં.૫માં કુવાડવા રોડ પર ડી માર્ટ વાળા ચોકનું બેચરભા પરમાર ચોક નામકરણ કરવા (૪) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઈ હેઠળ નવી મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ તૈયાર કરવા (૫) વોર્ડ નં.૧૫માં ચુનારાવાડ-૫ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૫માં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દુર કરવા (૬) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાનમાં લેવા બાબત સહિતનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે ઉપરોક્ત મીટીંગમાં માધાપર ટીપી સ્કિમ નં.૧૧માં સર્વે નં.૫૧૨ અને ૫૧૪નો સમાવેશ કરવા દરખાસ્ત રજૂ કરાઇ છે, મ્યુનિ.પ્લાનિંગ કમિટી દ્વારા આ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે દરખાસ્ત સ્વરૂપે જનરલ બોર્ડ મિટિંગમાં રજૂ કરાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News