શાપર - મેટોડામાં નવી પ્રાથમિક શાળાઓ શરૂ કરવા ગાંધીનગર દરખાસ્ત કરાશે

  • May 27, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પરપ્રાંતીય મજૂરોની મોટી વસ્તી ધરાવતા અને ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપભેર વિકાસ તરફ આગળ વધી રહેલા શાપર અને મેટોડામાં નવી પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠકમાં લેવાયો છે અને આ નિર્ણયની અમલવારી માટે નવી શાળા શરૂ કરવાની વિધિવત દરખાસ્ત ગાંધીનગર ખાતે શિક્ષણ નિયામકને મોકલવા નક્કી કરાયું છે.

રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન મુકેશભાઈ તોગડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જેતપુર તાલુકાની ચારણ સમઢીયાળા ગામે આવેલી જૂની પ્રાથમિક શાળા ગ્રામ પંચાયતને સોપવાનો પણ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવતો હોય છે. આ વર્ષે આગામી તારીખ 18 થી 20 જૂન દરમિયાન આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ લોકોની સહભાગીતા વધારવા માટે વધુ પ્રયાસ કરવા સરકાર દ્વારા દરેક જિલ્લા અને તાલુકા પંચાયતોને સૂચના આપવામાં આવી છે. સરકારની આ કામગીરી અને આગામી દિવસોમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ બાબતે પણ આ મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે શાપર વેરાવળમાં શાળાએ ન જતા પરપ્રાંતીય મજૂરોના બાળકોને થોડા સમય પહેલા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે અને તેમને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સરકારી સ્કૂલોમાં એડમિશન આપવામાં આવશે.

શિક્ષણ સમિતિની આ બેઠકમાં ચેરમેન અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા ઉપરાંત શિક્ષણ સમિતિના સભ્યો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.એચ.પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર એ.પી.વાણવી, હેતલબેન ચેતા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application