પોરબંદરમાં ચાર જગ્યાએ ગણેશ વિસર્જન માટે સ્થળ થયા નક્કી

  • September 11, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ગણેશ વિસર્જન અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે બેઠક યોજાઇ હતી.
પોરબંદરમાં આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનનું આયોજન થનાર છે. તમામ વિસ્તારોમાંથી ગણેશ મંડળો ગણેશજીની પ્રતિમા તથા ડી.જે. સાથે વહેલી સવારથી સ્થાપના સ્થળેથી વિસર્જનના સ્થળે જતા હોય છે. જેને જોવા વિશાળ જનસમુદાય પગપાળા અને વાહનોમાં અવર-જવર પણ કરતા હોય છે. જેથી ગણપતિ વિસર્જનના દિવસની ઉજવણીના આગોતરા આયોજન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંતર્ગત જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. 
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, રસ્તાઓના ડાયવર્ઝન બાબતે જાહેરનામું અમલી કરાયું છે. તેમણે એમ.જી.વી.સી.એલ, આર એન્ડ બી, નગરપાલિકાના  અધિકારીઓને સુચારુ આયોજન બાબતે સૂચનો કર્યા હતા. આ સાથે પોલીસનો ચુસ્ત બંધોબસ્ત સહિત શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની ઉજવણી કરાય તે માટે આનુવંશિક કામગીરી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચાર સ્થળોએ થઇ શકશે ગણેશ વિસર્જન
હાલમાં ગણેશ ચતુર્થી અન્વયે પોરબંદર-છાયા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ સ્થાપનો થયેલા છે, જેમા સ્થાપિત ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન તા.૧૧/૦૯/૨૦૨૪ તથા તા.૧૩/૦૯/૨૦૨૪ ના થનાર છે, તે ગણેશ વિસર્જન માટે નગરપાલિકા દ્વારા રઘુવંશી આવાસ પાછળ, છાયા વિસ્તાર  બી.એસ.યુ.પી.આવાસ સામે ચારણ આઈ મંદિર પાસે, બોખીરા વિસ્તાર  નંદેશ્ર્વર તળાવ, બોખીરા વાડી વિસ્તાર તથા  દરિયા કાઠે હઝુર પેલેસ પાછળ કૃત્રિમ જળાશયની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ઉક્ત સ્થળોએ લોકોને કે વાહન વ્યવહારને કોઈ અડચણ ન થાય તે રીતે શાંતિ પૂર્વક ગણેશ વિસર્જન કરવા ચીફ ઓફિસર તથા પ્રમુખ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application