ધોરીમાર્ગો ઉપર પદયાત્રીઓ માટે બંને બાજુ સુરક્ષિત પગદંડીઓ બનાવવાનું વિસરાયું

  • June 02, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સર્વ ધર્મ સમભાવ રાખતા અને સનાતન ધર્મને અનુસરતા ભારત દેશમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, સિખ વિગેરે તમામ ધર્મોમાં ધાર્મિક સ્થળોની પદયાત્રાનું મહત્વ છે ત્યારે પદયાત્રીઓને નડતા અકસ્માત રોકવા અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમયમાં તમામ ધોરીમાર્ગો ઉપર બંને બાજુ પદયાત્રીઓ માટે સલામત પગદંડીઓ બનાવવાની બાબતને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા યાદ તાજી કરવામાં આવી છે. જેમાં ગુજરાત સહિત દેશભરના તીર્થસ્થાનો ખાતે જયાં શ્રધ્ધાળુઓની મનોકામના પરિપૂર્ણ થાય તે હેતુથી જે તે તીર્થસ્થાનોની પગપાળા યાત્રા કરવાની માનતાઓ રાખતા હોય છે. આ ઉપરાંત જૈન ધર્મમાં ખાસ કરીને દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયના સાધુઓ અને સંઘો ખુલ્લા પગે પગપાળાયાત્રા કરતા હોય છે, તેમજ કચ્છમાં માતાના મઢ આશાપુરા માતાજી, મોમાઇમોરા મોમાઇ માતાજી, દ્વારિકા શ્રી કૃષ્ણ ભગવાન, આબુ અંબાજી માતાજી, પાવાગઢ મહાકાળી માતાજી, ચોટિલા ચામુંડા માતાજી, વીરપુર (જલારામ) વિગેરે અસંખ્ય તીર્થ સ્થાનોની પદયાત્રા કરતા ભાવિક લોકોને ધોરી માર્ગો ઉપર અકસ્માત થવાનાં ઘણા કિસ્સાઓ જોવા મળે છે. જેમાં બેદરકારીથી ચલાવતા વાહનોને લીધે સંતો, યાત્રાળુઓના અવસાનથી માંડીને ગંભીર ઇજાઓ થયેલ હોવાનું સામે આવેલ છે. તાજેતરમાં જ રાજસ્થાનમાં વિહાર કરતી વખતે જૈનાચાર્ય પુંડરિક રત્ન સુરીશ્વરજી મહારાજનું અવસાન થયેલ છે. આ અગાઉ પણ ઘણા જૈનાચાર્ય તથા મહાસતિજીઓ, તીર્થ યાત્રાળુઓનું વિહાર યાત્રા કરતી વખતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે અથવા ગંભીર ઇજાઓ થયેલ હોવાનું સામે આવેલ છે. આ પ્રકારના અકસ્માતો ન બને તેનો કાયમી ઇલાજ આવે તે માટે રાજય અને કેન્દ્ર સરકારના હાઇવે પર બંને સાઇડ સુરક્ષિત ડીવાઈડરયુકત પગદંડીઓ બનાવવામાં આવે તો આવા પ્રકારનાં વારંવાર થતા અકસ્માતો ટાળી શકાય છે. જેથી આ સબંધે તાત્કાલિક સરકાર કક્ષાએ યોગ્ય કરવા માટે રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, માર્ગ અને મકાન મંત્રી નિતીન ગડકરી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપાના અધ્યક્ષ અને જનશકિત મંત્રી સી.આર. પાટિલ, ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને ભુતપુર્વ શહેરીવિકાસ અને માર્ગ અને મકાન મંત્રી અને ભાજપાનાં નેતા આઇ.કે. જાડેજાને રજુઆત કરેલ છે.

આ રજુઆતને ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશનના ઉપ પ્રમુખ ભરતભાઈ અંબાણી, હરેશ પરસોંડા, સેક્રેટરી નયનાબેન ચૌહાણ તથા અશ્વિન ગોસાઇ, જોઇન્ટ સેક્રેટરી જતીન ઠકકર તથા નિવિદ પારેખ, ટ્રેઝરર દિવ્યેશ છગ તથા અજય ચાંપાનેરી, લાઇબ્રેરી સેક્રેટરી કિશન રાજાણી તથા રાજેશ ચાવડા,

અને કારોબારી સભ્યો હર્ષદ બારૈયા, વિમલ ડાંગર, બિનલબેન મહેતા, હિરેન રૈયાણી, શૈલેષ સુચક, અંજનાબેન ચૌહાણ, ધમેઁશ સિદ્ધપુરા, ભાવેશ બાંભવા, કિતિઁસિંહ ઝાલા, હિરલબેન જોષી, નૃપેન ભાવસાર, વિજય જોષી, અજયસિંહ ચુડાસમા, ચેતન વિઠ્ઠલાપરા, કો-ઓપ્ટ સભ્યો કલ્પેશ નશીત, શ્રેયશ શુકલ, સાગર મેતા અને વનરાજસિંહ ડોડિયા વિગેરેએ આવકારેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application