જામનગર વનવિભાગની આબના ધજાગરા ઉડાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારણ કે, સોમવારે લાલ બંગલા સર્કલમાં બપોરના સાડા બાર વાગ્યા આસપાસ એકાએક રોઝડું આવ્યું હતું અને અદાલતના ગાર્ડન તથા સર્કીટ હાઉસ આજુબાજુના વિસ્તારમાં દોડાદોડી કરી હતી. આથી લોકોમાં કૂતૂહૂલ સર્જાયું હતું. બનાવની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી.
પરંતુ નવાઇની વાત તો એ છે કે, વનવિભાગની ટીમે પાંચ કલાક કવાયત કરવા છતાં રોઝડું હાથમાં આવ્યું ન હતું. આખરે વનતારાની ટીમની મદદ લેવામાં આવી હતી. વનતારાની ટીમે ઇન્જેકશન રોઝડાને ઇન્જેકશન આપી બેભાન કરી વાહનમાં રેસ્કયુ કરી લઇ ગઇ હતી અને ત્યારબાદ કુદરતના ખોળે મુકત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચ કલાક સુધી વન વિભાગની ટીમ રોઝડાનું રેસ્કયુ ન કરી શકતા ફોરેસ્ટના અધિકારીઓ અને કાર્મચારીઓની કાર્યક્ષમતા સામે સવાલ ઉઠ્યા છે તો વન વિભાગની શાખને બટ્ટો લાગ્યો છે. ત્યારે અન્ય શહેરોની જેમ જામનગરમાં જો કોઇ હીંસક પ્રાણી આવી ચડે તો પાંચ કલાક સુધી એક રોઝડાનું રેસ્કયુ ન કરી શકનાર વનવિભાગની ટીમ શું કરી શકવાની એટલે કે શું ઉકાળી શકે તે સવાલ શહેરીજનોમાં જોરશોરથી ઉઠ્યો છે.