નદીમાં ઊંટ ઉતારીને ડૂબતી યુવતીઓને બચાવી લેવાઈ : બેને વધુ સારવાર માટે જામનગર ખસેડાઈ : દરીયાઇ કરન્ટના કારણે જળસ્તર વઘ્યું
દ્વારકામાં ગઇકાલે બપોરે ગોમતી નદીમાં ન્હાવા પડેલી ૫ યુવતીઓ ડૂબી હતી. આ ઘટનામાં એક સગીરાનું મોત થયું છે, જ્યારે અન્ય ૪ યુવતીઓને સારવાર માટે ખસેડવામાં આવી છે. મૃતક સગીરાની ઓળખ ભાગેશ્વરી જેઠવા તરીકે થઇ છે, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ તમામ યુવતીઓ જામનગરના હોવાનું જાણવા મળ્યું છે.
સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ૫ યુવતીઓ ડૂબી હતી. ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ ડૂબતી યુવતીઓની રેસ્ક્યૂ કર્યું હતું. મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને રેસ્ક્યૂ કરાયેલી ૪ યુવતીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, બે યુવતીઓને વધુ સારવાર માટે જામનગર ખસેડાઈ હતી.
મૃતક યુવતીનું નામ ભાગેશ્વરી જનકસિંહ જેઠવા છે જેની ઉંમર ૧૭ વર્ષ છે. અન્ય ચાર યુવતીઓના નામ કૃપાલી વાઢેર-૧૮ વર્ષ, રિયા જેઠવા-૨૨ વર્ષ, બંસી વાઢેર-૨૩ વર્ષ અને તેજલ વાઢેર-૨૦ વર્ષની હતી. આમાંથી બંસી વાઢેર અને તેજલ વાઢેરને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવી છે.
જ્યારે આ ઘટના બની ત્યારે એક ઊંટની સવારી કરાવાવાળી વ્યક્તિએ તરત જ પોતાનું ઊંટ નદીમાં ઉતાર્યું હતું અને ડૂબતી યુવતીઓને બચાવી હતી. બાદમાં રેસ્ક્યૂ બોટ પણ મદદે આવી પહોંચી હતી. ત્યાં હાજર સ્થાનિકોએ ઊંટ અને બોટથી રેસ્ક્યૂનો વીડિયો પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. જો આ ઘટનામાં ઊંટવાળો સમયસર ન પહોંચ્યો હોત તો ઘટના વધુ ગંભીર બની હોત.
ગોમતીના બારઘાટ પર પ્રતિબંધ...
આ ઘટના બાદ દ્વારકા કલેક્ટરે ગોમતી ઘાટના બારઘાટ પાસે હાલ રોક લગાવી છે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડને ખડેપગે રાખવામાં આવી છે, ગોમતીના બારઘાટ પર હાલ પ્રતિબંધ મુકાયો છે, અવર જવર માટે છુટ છે પરંતુ ન્હાવાની મનાઇ ફરમાવવામાં આવી છે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરિયાકિનારે અને ગોમતી નદીમાં સ્નાન પર પણ પ્રતિબંધ છે. ચેતવણી બોર્ડ લગાવ્યા છતાં બહારગામથી આવતા પ્રવાસીઓ નદીના તેજ વહેણથી અજાણ હોવાથી આવી દુર્ઘટનાઓ બને છે. સમુદ્રમાં કરન્ટ હોય ત્યારે ગોમતીને પાણીમાં ન્હાવુ નહી તેવી સુચનાઓ આપવામાં આવી છે સલામતીને ઘ્યાને લઇને ઉંડા પાણી તરફ જવા દેવામાં આવતા નથી.
પખવાડીયામાં ડુબવાના કારણે ચારનો ભોગ લેવાયો...
મેધપરના ૮૫ વર્ષીય વૃદ્ધ ગોરધનભાઈ ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા, જ્યાં તેઓ ભારે કરંટને કારણે તણાઈ ગયા અને તેમનું મૃત્યુ થયું હતું. જૂનથી ઓગસ્ટ દરમિયાન દ્વારકા પંથકના દરિયામાં ભારે કરંટ અને ઊંચાં મોજાં જોવા મળે છે, જેની અસર ગોમતી નદીના પાણીમાં પણ જોવા મળે છે. ગત ૨૧મી મેના દિવસે પાટણના ૩ યાત્રાળુ ગોમતી નદીમાં ડૂબ્યા હતા, જેમાંથી એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બે મામા-ભાણેજ મળ્યા નહોતા. એક દિવસ અને રાતની શોધખોળ બાદ બીજા દિવસે મામા-ભાણેજ બંનેના મૃતદેહ મળ્યા હતા. બંનેની ઓળખ શૈલેષભાઇ ગોસ્વામી (ઉંમર ૨૭ વર્ષ, રહે. મેત્રાણા ગામ, તા. સિદ્ઘપુર, જિલ્લો. પાટણ) અને ધ્રુમિલ ગોસ્વામી (ઉંમર ૧૬ વર્ષ) તરીકે થઇ હતી.