આગ સહિતની આપત્તિમાં કામ કરતા ફાયર ઓફિસરો પણ કાયમી નહીં હોય

  • July 09, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ શહેરી વિકાસ વિભાગે ખાલી પડેવી જગ્યાએ ફાયરમેન અને ફાયર ઓફિસરોની ભરતી કરવાનું નક્કી કર્યું છે પરંતુ તેમની કાયમી નહીં સહાયક તરીકે ભરતી કરાશે. એટલે કે શહેરોમાં કાયમી ફાયર ઓફિસરો મળશે નહીં, શિક્ષકોની જેમ તે સહાયક રહેશે.
રાજ્યમાં આગ તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં ચપળતાથી કામ કરતાં ફાયર ઓફિસરોની કાયમી ભરતી કરવી એ યોગ્ય નિર્ણય હોઇ શકે છે પરંતુ રાજ્ય સરકારે તેમાં પણ સહાયક ફાયર મેનની ભરતી બહાર પાડી છે. હાલ રાજ્યના મુખ્ય શહેરોમાં ચીફ ફાયર ઓફિસરોની જગ્યાઓ વધારાના હવાલા અને ઇન્ચાર્જથી ચાલે છે. આઠ પૈકી છ સંસ્થામાં કાયમી ચીફ ફાયર ઓફિસર નથી.
મોટા શહેરોના ફાયર બ્રિગેડ ખાતાની છબી કેટલાક સમયથી ખરડાઇ છે. સ્ટાફની અછત હોવાથી કોઇપણ ઘટનામાં ત્વરિત પહોંચી શકાતું નથી. ફાયર સ્ટેશનમાં સાધનોની અછત નથી પરંતુ તેને ઓપરેટ કરનારા અનુભવી ફાયરમેનની અછત જોવા મળે છે, આમ છતાં શહેરોમાં કાયમીની જગ્યાએ સહાયક ફાયરમેનની ભરતી થઇ રહી છે.
ફાયર બ્રિગેડમાં ફાયરમેન સિવાયની જગ્યાઓ માટે ફાયર ફાઇટીંગને લગતાં સરકાર માન્ય કોર્ષ કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત જરૂરી ગણવામાં આવી છે, જ્યારે સહાયક ફાયરમેન માટે એસએસસી પાસ તથા શારીરિક ક્ષમતા ઉપર વધારે ભાર મુકવામાં આવ્યાં છે. સહાયક ફાયરમેનની જગ્યા માટે ફાયર ફાઇટીંગને લગતાં કોર્ષ કરેલાં હશે તો તેનાં વધારાનાં માર્ક આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ જેવી હચમચાવનારી કરૂણાંતિકા બાદ રાજ્ય સરકારે તમામ શહેરોમાં ફાયર બ્રિગેડ ખાતામાં ખાલી જગ્યાઓ ભરી દેવાનો આદેશ કર્યો હતો પરંતુ વિભાગે સહાયક ઓફિસરોની ભરતી માટે કાર્યવાહી શરૂ કરી છે, જે જોખમી બની શકે તેમ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application