જામનગરમાં જૈન સમાજમાં ઉત્સવનું વાતાવરણ

  • March 28, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રખર જૈનાચાર્ય શ્રી અજીતયશસૂરીશ્વરજી મ.સા.નાં પાવન આગમનથી જૈન સમાજમાં ધન્યતાની લહેર


પ્રખર પ્રભાવક વિદ્વાન મનિષી જૈનાચાર્ય શ્રી અજીતયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમનાં વિશાળ સમુદાય સાથે નગરનાં જૈન સંઘોમાં પધરામણી કરતા સમસ્ત જૈન સમાજમાં આનંદસહ ધન્યતાની લહેર વ્યાપી ગઇ છે.


સાઉથ આફ્રિકાનાં એડન દેશમાં જન્મેલા તથા સાડા નવ વર્ષની વયે શેત્રુંજય તીર્થમાં દિક્ષા ગ્રહણ કરનારા પૂ. અજીતયશસૂરીશ્વરજી મહારાજનાં પૂર્વાશ્રમનાં પરીવારનું વતન ગુંદા હોય જામનગરનાં જૈન સમાજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે.


પોતાની ચમત્કૃત અને ચૈતન્યમયી વાણીથી જીવન સંગ્રામમાં હારી ગયેલા લોકોને શ્રદ્ધાનું બળ આપી વિજયી બનાવનાર મ.સા. શાશ્વત તીર્થ શેત્રુજયમાં ઉપાધાન તપની આરાધનામાં નિશ્રા પ્રદાન કરી ગિરનાર મહાતીર્થની છ'રી પાલીત સંઘયાત્રા પછી દ્વારકામાં શ્રી નેમિનાથ જિનાલયની પ્રથમ વર્ષની ઉજવણીમાં પણ નિશ્રા પ્રદાન કરી વતન ગુંદા પધાર્યા ત્યારે તેમનું શાહી સામૈયું કરવામાં આવ્યું હતું. તેમનાં આશિષ છત્ર હેઠળ વિહારધામનાં ઉદઘાટન સહિતનાં ધર્મકાર્ય સંપન્ન થયા હતાં.


આરાધના ધામની ફાગણ સુદ તેરસની ભાવ યાત્રામાં નિશ્રા પ્રદાન કરી મ.સા. જામનગરનાં વિવિધ જૈન સંઘોનાં આંગણે પાવન પધરામણી કરી રહ્યા છે. ત્યારે તેમની જીવન પરીવર્તક દિવ્ય વાણીનો લાભ લેવા સમસ્ત જૈન સમાજને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.


પૂ. અજીતયશસૂરીશ્વરજી મ.સા. સાથે જ પૂ. શ્રીમદ વિજય  સંસ્કારયશ સૂરીશ્વરજી મ.સા. તથા સાધ્વીઓ સર્વશ્રી વિશુદ્ધમાલાશ્રીજી આદિઠાણા,સુયશમાલાશ્રીજી આદિઠાણા, વિમલયશાશ્રીજી આદિઠાણા વગેરે વિશાળ સમુદાયનું નગરમાં પણ આગમન થયું છે.


તા. ૨૯.૩ ને શુક્રવારે સવારે ૬ કલાકે સ્વસ્તિક સોસાયટી પાસે સાંસદ પૂનમબેન માડમનાં ઘર પાસેથી સામૈયું નીકળશે,સવારે ૬ :૧૫ કલાકે વિજયભાઇ અનુપચંદ મહેતાનાં ઘરે પધરામણી, સવારે ૬:૪૫ કલાકે બિમલભાઇ મહેતા (ગુંદાવાળા) નાં ઘરે પધરામણી, સવારે ૭:૧૫ બિમલભાઇ મહેતાનાં ઘરેથી સામૈયું, સવારે ૮ થી ૯ શ્રી પેલેસ ઉપાશ્રયમાં વ્યાખ્યાન, સવારે ૯ કલાકે પેલેસ આયંબિલમાં બિમલભાઇ મહેતા તરફથી સકળ સંઘની નવકારશી, સાંજે ૭ કલાકે સંધ્યા ભક્તિ યોજાશે. તા.૩૦.૩ ને શનિવારે સવારે ૭ કલાકે શ્રી પેલેસ ઉપાશ્રયમાં વ્યાખ્યાન તથા સાંજે ૭ કલાકે સંધ્યાભક્તિ યોજાશે.


સ્વ.અભેચંદ પોપટલાલ મહેતા તથા સ્વ. માતુશ્રી શારદાબેન અભેચંદ મહેતા પરીવાર દ્વારા પૂજ્ય ગુરૂ ભગવંતોની પાવન નિશ્રાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application