સોઢાણાના ખેડુત ગાય આધારિત કૃષિ દ્વારા ધરતી માતાની કરી રહ્યા છે રક્ષા

  • May 03, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના સોઢાણા ગામના એક ખેડુત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેનાથી તે ધરતી માતાની રક્ષા કરી રહ્યા છે એટલું જ નહી પરંતુ લોકોના આરોગ્યની પણ સુરક્ષા કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન જોરશોરથી અમલમાં મુકાયું છે.આ અભિયાન હેઠળ અનેક ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળતા સર્જનાત્મક કદમ લઇ રહ્યા છે.તે અંતર્ગત પોરબંદર જિલ્લાના સોઢાણા ગામના ખેડુત  ગજુભાઈ પરબતભાઈ કારાવદરાએ છેલ્લાં કેટલાક વર્ષથી ગાય આધારિત, રસાયણમુક્ત ખેતીના પાયા પર નોંધપાત્ર સફળતા મેળવી છે.
ગજુભાઈ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને તેમણે આ દિશામાં એક અનોખુ પગલું લીધુ છે.ગુજરાત રાજ્યના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનથી પ્રેરણા લઇને ગજુભાઈએ પોતાનું જીવન પ્રાકૃતિક ખેતી માટે સમર્પિત કર્યું છે.
તેઓ હાલમાં સોઢાણા ગામે પોતાની ૫૦ વિઘા ખેતીના જમીન પર સંપુર્ણ રીતે ગાય આધારિત અને રસાયણ મુક્ત પદ્ધતિથી ખેતી કરે છે.તે ગાયોના આધાર પર તેઓ જીવામૃત, બીજામૃત, છાશ, ગોબર ગેસ તથા ગૌમુત્ર, જેવી પરંપરાગત અને જૈવિક ખાતર પદ્ધતિઓ દ્વારા જમીનની ઉપજ ક્ષમતા વધારવા માટે પ્રયત્નશીલ છે. 
મોસમ મુજબ, ચોમાસામાં મગફળી, શિયાળામાં ઘઉં, ધાણા અને જી‚ તેમજ ઉનાળામાં તલ અને મગ જેવી પાકોની ખેતી તેઓ કરે છે.વિશેષતા એ છે કે,તેમના દ્વારા ઉગાડવામાં આવતી આ ઉપજની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે,સ્થાનિક બજાર કરતા વધુ કિંમતે પણ ગ્રાહકો તેને ખરીદે છે.આથી તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
ખેતી સાથે તેઓ પોતાના ઘરમાં અને સગા સંબંધીઓ માટે શાકભાજી જેવા કે ટમેટા, રીંગણ, કોબી, ગવાર અને ફળોમાં જાંબુ તથા કેળાનું પણ ઉત્પાદન કરે છે.આ રીતે તેઓ સંપુર્ણ સ્વસ્થ અને કુદરતી જીવનશૈલી અપનાવી રહ્યા છે.
ગજુભાઈએ ખેડુતો તેમજ સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પણ રસાયણમુક્ત અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ફરજીયાત તંદુરસ્તી નાશ પામે છે અને માનવીના આરોગ્ય પર પણ ગંભીર અસરો પડે છે, જેના કારણે કેન્સર જેવા જીવલેણ રોગો વધી રહ્યા છે.
ગજુભાઈ કારાવદરાની આ કામગીરી માત્ર એક ખેતીનો કદમ નથી, પણ ગુજરાતના અગ્રગણ્ય ખેડુત તરીકે પ્રાકૃતિક ખેતીની દિશામાં એક મહત્વપુર્ણ પ્રેરણારૂપ છે.ગજુભાઈ જેવા ખેડુતોના પ્રયાસોથી જ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વધુ બળ મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application