હરિયાણાના ફરીદાબાદમાં આયોજિત પ્રખ્યાત સૂરજકુંડ મેળામાં શનિવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેળામાં લાગેલો એક આકાશી ઝૂલો અચાનક તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ફરજ પર તૈનાત એક પોલીસ ઈન્સ્પેક્ટરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ૧૨ લોકો ગંભાઇ રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખાનગી અને બાદશાહ ખાન સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફરજ પરના SHOનું મોત
મૃતક પોલીસ અધિકારીની ઓળખ જગદીશ પ્રસાદ તરીકે થઈ છે, જેઓ પલવલ જિલ્લાના ચાંદહટ પોલીસ સ્ટેશનમાં એસએચઓ (SHO) તરીકે ફરજ બજાવતા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ‘સુનામી’ નામના આ ઝૂલા પર અકસ્માત સમયે અંદાજે ૧૮ લોકો સવાર હતા.
ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઝૂલો ઉંચાઈએથી નીચે આવતી વખતે અચાનક તૂટી પડતો જોઈ શકાય છે. આ દ્રશ્ય જોઈને મેળામાં હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા હતા.