સૌની યોજનાનું નર્મદાનીર મળ્યા પછી પણ રાજકોટને પાણી ઘટશે, ઉનાળામાં તોળાતું જળસંકટ

  • March 05, 2025 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નર્મદા કેનાલ મેન્ટેનન્સ માટે બે મહિના બંધ કરવામાં આવનાર હોય ઉનાળાના આગામી બે મહિના દરમિયાન રાજકોટને પાઇપલાઇન મારફતે મળતું નર્મદાનીર બંધ થઇ જશે. રાજકોટ શહેરની પાણીની દૈનિક જરૂરિયાત ૪૩૦ એમએલની છે જેમાંથી ૧૩૫ એમએલ નર્મદાનીર પાઇપ લાઇન મારફતે મળે છે. પાઇપલાઇન મારફતે મળતું નર્મદાનીર ન મળે તો ઘટ ન પડે તે માટે હાલથી આગોતરા આયોજનના ભાગરૂપે આજી ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરાયું છે અને બે ચાર દિવસમાં ન્યારી ડેમમાં ઠાલવવાનું પણ શરૂ કરાશે. જો કે સ્થિતિ એવી થશે કે આજી અને ન્યારી સહિતના બન્ને ડેમ સૌની યોજનાના નર્મદાનીરથી છલોછલ ભરેલા હશે તો પણ રાજકોટને પાણીની ઘટ પડશે. દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પાણીની સ્થિતિની સમીક્ષા માટે આવતીકાલે રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં દરરોજ ૨૦ મિનિટ પાણી વિતરણ કરવા માટે ૪૪૦ એમએલ પાણીની જરૂર રહે છે જેમાં પ્રતિ દિવસ આજી-૧ ડેમમાંથી ૧૩૦ એમએલ, ન્યારી-૧ ડેમમાંથી ૧૪૦ એમએલ અને ભાદર-૧ ડેમમાંથી ૩૫ એમએલ મળીને કુલ ૩૦૫ એમએલ જળ જથ્થો મળે છે જ્યારે ૧૩૫ એમએલ નર્મદાનીર પાઇપલાઇન મારફતે મળે છે જેમાં ન્યારા ખાતે ૭૦ એમએલ, બેડી ખાતે ૫૫ એમએલ અને કોઠારીયા ખાતે ૧૦ એમએલ પાણી મળે છે. પાઇપલાઇન મારફતે નર્મદાનીર મળવાનું બંધ થઇ જાય તેવા સંજોગોમાં જે વિસ્તારોમાં પાઇપલાઇન નેટવર્કમાંથી મળતું નર્મદાનીર વિતરિત કરાય છે તે વિસ્તારોમાં તકલીફ પડશે અને તકલીફ ન પડે તે માટે વધુ સ્ટોરેજ કરવું અથવા તો એક છેડેથી બીજા છેડે પાણી ટ્રાન્સફર કરવું જેવી આયોજનબદ્ધ જહેમત ઉઠાવવી પડશે. આવા સંજોગોમાં જો ઉનાળામાં ક્યારેક વીજ પુરવઠો ખોરવાય કે અન્ય કોઈ ટેક્નિકલ ફોલ્ટ આવે તો તુરંત જ વિતરણ વ્યવસ્થા ખોરવાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉનાળામાં વિતરણ ન ખોરવાય તે માટે રાજ્ય સરકાર સાથે પત્ર વ્યવહાર કરી સૌની યોજનાનું પાણી વહેલું માંગવામાં આવ્યું અને સરકારે મોઢે માંગ્યું પાણી આપ્યું પણ છે તેમ છતાં જો પાઇપલાઇન મારફતે મળતું નર્મદાનીર બંધ થશે તો તકલીફ તો થશે જ કારણ કે સૌની યોજના મારફતે મળતું નર્મદાનીર સીધું જ ડેમમાં ઠલવાઇ છે અને જે તે ડેમ હેઠળના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં વિતરિત કરાય છે પરંતુ અનેક વિસ્તારોમાં પાઇપલાઇનથી મળતું નર્મદાનીર વિતરિત કરાય છે તેવા વિસ્તારોમાં પાણી ટ્રાન્સફર કરીને વિતરણ કરવું પડશે તે પ્રક્રિયામાં સમય લાગશે જેથી કોઈને કોઇ વિસ્તારમાં વિતરણ વહેલા મોડું થવાની સંભાવના રહેશે.

પાણી પ્રશ્ને કમલમમાં યોજાઇ ગઇ સમીક્ષા મિટિંગ; પાણી પુરવઠા મંત્રીને રૂબરૂ રજુઆત કરવા નિર્ણય

રાજકોટ શહેરમાં ઉનાળામાં નર્મદા નીર મળતું બંધ થઇ જાય તો પાણી પ્રશ્ન ન સર્જાય તે માટે શું કરવું ? તેનું ચિંતન કરવા માટે તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે મહાપાલિકાના મુખ્ય પાંચ પદાધિકારીઓ તેમજ વોટર વર્કસ કમિટિ ચેરમેન અશ્વિનભાઇ પાંભર, સિટી એન્જીનિયર કે.પી.દેથરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મિટિંગના અંતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને રૂબરૂ મળવા જવાનું નક્કી થયું હતું. માર્ચના અંત સુધીમાં આજી અને ન્યારી છલોછલ ભરી દેવાય તો માંડ બે મહિના શાંતિથી પસાર થઇ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application