જામનગરમાં હજુ પણ મિશ્ર સિઝન ચાલતી હોય સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રોગચાળો વધતો જાય છે, ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની જી.જી. હોસ્પિટલમાં ભારે ભીડ રહે છે. દૈનિક ૧૫૦ થી ૨૦૦ જેટલા દર્દીઓ સારવારમાં આવી રહ્યા છે અને આશરે ૫૦ જેટલા દર્દીઓને દાખલ થયા છે.
ઠંડી-ગરમી એમ મિશ્ર ઋતુના કારણે જામનગરમાં વાયરલ તાવ, શરદી અને ઉધરસના કેસ વધતા બાળકોમાં વધુ અસર જોવા મળી રહી છે અને જી.જી.હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં ૯ વોર્ડ છે. તેમાં દૈનિક ૧૫૦થી ૨૦૦ બાળકો તાવ, શરદી અને ઉધરસની સારવાર માટે આવતાં તેમાંથી કેટલાક બાળકોને દાખલ કરવા પડે છે.

હાલ બાળકોના વોર્ડમાં બેડ ભરાઈ ગયા છે. નોર્મલ ૪ થી પ દિવસની સારવાર બાદ બાળક સ્વસ્થ થાય છે. તેમાં પણ મોટા ભાગના બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં વધુ અસર જોવા મળે છે. તો મેડીસીન વિભાગમાં દૈનિક ૧૦૦ થી ૧૨૫ જેટલા લોકોની ઓપીડી હોય છે. જેમાં મોટા ભાગના દર્દીઓને અસર જ જોવા મળે છે. માત્ર ૧૦ થી ૧૫ જેટલા લોકોને જ સારવાર માટે દાખલ કરવાની જરૂર પડે છે.
મિશ્ર ઋતુના કારણે હાલની સિઝનમાં બાળકોમાં વાયરલ તાવ, શરદી અને ઉધરસના કેસ વધુ રહે છે જેથી વાલીઓએ બાળકોને ભીડભાડવાળી, પ્રદુષણવાળી જગ્યાઓમાં ન લઈ જવા, માસ્ક પહેરાવીને રાખવું, સારો ખોરાક આપવો, જેથી બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેમ પીડીયાટ્રીક વિભાગના ડોકટર એ જણાવ્યું છે.
મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસની બાળકોની ઝડપથી અસર થતી હોય છે તેથી વાલીઓએ પોતાના બાળકને પ્રથમ સ્ટેજમાં બાળકોના ડોકટરને બતાવીને સારવાર કરાવી લેવી જોઈએ. જો તેમાં બેદરકારી રાખે તો બાળકને શ્વાસમાં તકલીફ પડતી હોય છે તેમ પણ ડોકટરે ઉમેર્યું હતું.