દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ રોગચાળા સંદર્ભે કામગીરી હાથ ધરાશે

  • May 13, 2025 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 16 મે ને "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. જેની ઉજવણીરૂપે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ અને નિવારણ માટે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની ટીમોની રચના કરી ઝુંબેશ સ્વરૂપે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા વિગેરે વાહકજન્ય રોગો મચ્છરો દ્વારા ફેલાતા હોય છે. આથી જુદા જુદા વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણ અને નિવારણ કામગીરીના સર્વેલન્સ દરમ્યાન મચ્છરના ઉદગમસ્થાન એવા પાણીના પાત્રોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવશે.


વધુમાં મચ્છર ઉત્પતિ સ્થાનો જેવા કે નળની કુંડી, સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા, સુશોભન માટેના કુવારા, ફ્રીઝ, એસી, કુલરની ટ્રે, ફૂલઝાડના કુંડા, પક્ષીઓના પીવાના પાણીના કુંડા, અગાસી, છતમાં ભરાતા પાણી અને બંધીયાર વિસ્તારમાં ભરાતા ચોખ્ખા પાણીના સ્થળોએ એબેટના દ્રાવણ તેમજ બી.ટી.આઈ. દ્રાવણનો ઉપયોગ કરી મચ્છરોની ઉત્પતિ અટકાવવામાં આવશે. જિલ્લાના નાના-મોટા જળાશયોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકી પોરાઓનો નાશ કરી મચ્છરોના જીવનચક્ર નિયંત્રિત કરીને જૈવિક રીતે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવામાં આવશે. "ડેન્ગ્યુ દિવસ" તેમજ વાહક જન્યરોગ અટકાવવા માટે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.


આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીની દેખરેખમાં ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવનાર છે, જેમાં આરોગ્ય કર્મચારીઓને યોગ્ય સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application