ગુજરાતમાં 8326 ગ્રામ પંચાયત ચૂંટણીનું 22 જૂને મતદાન, 25 જૂને પરિણામ, જાણો કઈ તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે

  • May 28, 2025 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની 8326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.


સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે

સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. પુનઃ મતદાન તારીખ જો જરૂર લાગે તો 24 જૂન રખાઈ છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણની તારીખ 27 જૂન છે. 

રાજ્યભરમાં કુલ ૮,૩૨૬ પંચાયતો માટે ચૂંટણી યોજાશે. જેમાં અમરેલી (૩૦૭), ભાવનગર (૪૬૬), મહેસાણા (૫૩૦), બનાસકાંઠા (૬૧૭), રાજકોટ (૩૦૭), સાબરકાંઠા (૩૯૫), ખેડા (૪૦૭) જેવા જિલ્લાઓમાં મોટું પાયે મતદાન થવાનું છે. રાજ્ય ચૂંટણીની જાહેર કરવાની સાથે આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવામાં આવશે. 


જેમાં ચૂંટણી કામગીરીમાં લાગેલા અધિકારી/કર્મચારીઓને રજા મંજૂર નહીં થાય. સરકારના વિવિધ વિભાગો દ્વારા નવી નિમણૂકને  મંજૂર નહીં થાય. ચૂંટણી વિસ્તારમાં નાણાંકીય અથવા વિકાસકાજ સંબંધી કોઈ નવી જાહેરાત કે ગ્રાન્ટ મંજૂર નહીં થાય.


મતદારોને લોભાવનારી જાહેરાતો કે વચનો સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી અથવા ઉપયોગ પણ અટકાવવામાં આવશે. આ સૂચનાઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, તમામ મંત્રીઓ, જિલ્લા કલેકટરો, પોલીસ અધિક્ષકો, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત તમામ સંબંધિત કચેરીઓ અને શાખાઓ સુધી પહોંચાડવાની જવાબદારી પણ નિર્ધારિત કરી છે.


ચૂંટણી સંબંધિત તમામ કચેરીઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે કોઈપણ મતદાર પ્રભાવિત નિર્ણયો કે વિકાસકાજ ચૂંટણીની જાહેરાત બાદ ન લેવાય. આ સાથે રાજકીય પક્ષો અને તેમના કાર્યકરોને પણ આચાર સંહિતાના પાલન માટે ચેતવણી આપવામાં આવી છે.


આ તમામ સૂચનાઓની અમલવારી તા. ૨૮/૦૫/૨૦૨૫થી ૨૫/૦૬/૨૦૨૫ સુધી રહેશે. એટલે કે ચૂંટણી પરિણામ જાહેર થયા સુધી કડક પાલન ફરજિયાત રહેશે.

ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.


રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

રાજ્યની 8240 જેટલી ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણીપંચ તરફથી આજે બપોરે તારીખોનું એલાન થયું છે. રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે.


પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ કર્યો હતો

રાજ્ય ચૂંટણીપંચે કલેક્ટરોએ પત્ર લખી પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણીપંચે બેલેટપેપર છપાવવા પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા, ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા ટેન્ડરપ્રક્રિયા કરવા પણ જણાવી દીધું છે. કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી-કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application