કપાયા અને અપાયા: ભાજપની પ્રથમ યાદી પછીનું વિશ્લેષણ

  • March 04, 2024 10:51 AM 

ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદીમાંપાંચ સાંસદોની ટિકિટ કપાઈ છે. બનાસકાંઠાથી પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, રાજકોટથી મોહન કુંડારિયા, પંચમહાલથી રતનસિંહ રાઠોડ અને પોરબંદરથી રમેશ ધડુકના સ્થાને અન્ય ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વ્યાપકપણે એ ચર્ચા થઈ રહી હતી કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલાને પણ ભાજપ ગુજરાતથી ચૂંટણી લડાવશે. એમાં પણ સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી હતી કે મનસુખ માંડવિયાને ભાપોરબંદર બેઠક પરથી ટિકિટ આપશે. શનિવારે સાંજે ભાજપે ગુજરાતની ૧૫ સહિત કુલ ૧૯૫ લોકસભા બેઠકો માટે પોતાના ચૂંટણી ઉમેદવાર જાહેર કર્યા હતા. આ સમાચાર આવતાં જ રાજ્યની બાકીની ૧૧ લોકસભા બેઠકો માટે પણ ભાજપના ઉમેદવારોનાં નામની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. રાજકોટની બેઠક પરથી રૂપાલાને ટીકીટ આપીને ભાજપે બધાને ચોંકાવી દીધા છે. રાજકોટ એ ભાજપની સૌથી વધુ સુરક્ષિત બેઠક છે. અહીંથી કોઈ સાવ જ અજાણ્યા માણસને, કે જેને તેનો પાડોશી પણ ઓળખતો ન હોય તેને ભાજપ ટીકીટ આપે તો તે ચૂંટાઈ જ જાય. અને ચૂંટાય પણ એક-બેલાખ મતના માર્જીનથી. આવી સલામત બેઠક રૂપાલાને આપવામાં આવી છે. આમ પણ રૂપાલા ક્યારેય લોકસભા લડ્યા નથી, રાજ્યસભામાં તેમણે મોકલવામાં આવ્યા હતા અને મંત્રી બનાવ્યા હતા. એટલે રૂપાલાને રાજકોટથી લોકસભાની ટીકીટ આપવી તે રાજ્યસભામાં મોકલવા જેવું જ કામ થયું. અમરેલીથી એમને લડાવ્યા હોત તો વાત જુદી હતી. પોરબંદરની બેઠક ભાજપ માટે હવે ગઢ સમાન બની ગઈ છે.

તે બેઠક પ-અન એકદમ સુરક્ષિત છે એટલે મનસુખ માંડવીયાને ત્યાંથી લડાવ્યા છે. હવે જે ૧૧ બેઠક બાકી રહી છે તેમાં પણ એકાદ-બે ચોંકાવનારા નામ આવશે એવું લાગે છે. બીજી તરફ ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને ભાજપના સિનિયર નેતા નીતિન પટેલે રવિવારે બપોરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને મહેસાણા બેઠક પરથી પોતાની દાવેદારી પરત ખેંચી હોવાના સમાચાર આપ્યા હતા. તેમને તો લડવું હતું અને દાવેદારી પણ નોંધાવી દીધી હતી પણ હાઈ કમાન્ડે કદાચ કહી દીધું હશે કે તમને ટીકીટ આપવાની નથી એટલે નામ કપાય અને નાલેશી થાય એ પહેલા પોતે જ જાહેર કરી ડો કે મારે ચૂંટણી લડવી નથી. કોઈ મોટા નેતા ટીકીટ માંગે અને તે કપાય ત્યારે તેની અને પક્ષની બંનેની નાલેશી થતી હોય છે એટલે ભાજપ દ્વારા રણનીતિ ઘડી કાઢવામાં આવી છે કે આવા નેતા પોતે જ જાહેર કરી ડે કે હું લડવાનો નથી. નીતિન પટેલે પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને આ જાહેરાત કરી હતી. ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા નીતિન પટેલને મુખ્યમંત્રી બનવાના અભરખા હતા અને પોતે વરમાળા પહેરવા માટે તૈયાર થઇ ગયા હતા, લાડુ વહેંચી દીધા હતા અને નામ ભુપેન્દ્ર પટેલનું નીકળ્યું ત્યારે જ તેમણે સમજી જવું જોઈતું હતું કે ભાજપ તેને હવે કોઈ મહત્વની જવાબદારી આપશે નહીં. છતાં હજી નીતિન પટેલને આશા છે કે તેને કોઈ રાજ્યમાં રાજ્યપાલ બનાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application