BREAKING NEWS

બેંક એફડીમાં રાખતા ગ્રાહકો સાવધાન! ઓટો-રિન્યુઅલનું આ ગણિત સમજી લો; નહીં તો ફાયદાને બદલે વેઠવું પડશે મોટું આર્થિક નુકસાન

  • June 21, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીયોમાં બચત અને રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ને આજે પણ સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર માધ્યમ માનવામાં આવે છે. ગ્રાહકોની સુવિધા માટે બેંકો દ્વારા હવે ‘ઓટો-રિન્યુઅલ’ (Auto-Renewal) એટલે કે આપમેળે એફડી નવી થઈ જવાની સુવિધા આપવામાં આવે છે. આ અંતર્ગત, તમારી એફડીની પાકતી મુદત (મેચ્યોરિટી) પૂરી થતાં જ બેંક કોઈ પણ પૂછપરછ વગર તમારા પૈસાને ફરીથી નવી એફડીમાં રોકી દે છે.


ઉપરછલ્લી રીતે જોતાં આ સુવિધા ખૂબ જ સરળ અને ફાયદાકારક લાગે છે, પરંતુ વાસ્તવમાં આ ‘સેટ એન્ડ ફોરગેટ’ (એકવાર રોકાણ કરો અને ભૂલી જાઓ) ની નીતિમાં કેટલાક એવા છુપા જોખમો પણ છે જે તમારા નફાને નુકસાનમાં બદલી શકે છે. આ ઓટો-રિન્યુઅલ પાછળનું ગણિત શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય, તેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.


નાણાકીય બાબતોના નિષ્ણાતોના મતે, ગ્રાહકો જ્યારે એફડી ખાતું ખોલાવે છે ત્યારે ફોર્મમાં ઓટો-રિન્યુઅલના ઓપ્શન પર વગર વિચારે ટિક કરી દે છે. આ આદત વ્યાજ દરના ઉતાર-ચઢાવવાળા બજારમાં મોટું નુકસાન કરાવી શકે છે.


સુવિધાના નામે વ્યાજમાં કેવી રીતે થાય છે મોટો ઘાટો?
જ્યારે તમારી જૂની એફડી પૂરી થાય છે, ત્યારે બેંક તમારા મૂળ ધન (મુદ્દલ) ની સાથે વ્યાજની રકમને જોડીને તે જ દિવસે અમલી નવા વ્યાજ દર મુજબ નવી એફડી બનાવી દે છે.


ઓછા વ્યાજદરમાં પૈસા લોક થવાનું જોખમ: ધારો કે તમે જ્યારે એફડી કરાવી ત્યારે વ્યાજ દર ૭.૫ ટકા હતો, પરંતુ તમારી એફડી મેચ્યોર થઈ તે દિવસે બજારમાં વ્યાજ દરો ઘટીને ૬.૫ ટકા થઈ ગયા હોય, તો તમારા લાખો રૂપિયા આપોઆપ આગામી થોડા વર્ષો માટે આ ઓછા વ્યાજ દર (૬.૫ check) પર લોક થઈ જશે. બીજી બેંકોની સારી ઓફર્સ ગુમાવવી: બજારમાં અન્ય કોઈ બેંક કે પોસ્ટ ઓફિસ જો વધુ વ્યાજ આપતી હશે, તો પણ તમે તે લાભ મેળવી શકશો નહીં કારણ કે તમારા પૈસા ઓટો-રિન્યુ થઈ ચૂક્યા હશે.

પ્રિ-મેચ્યોર વિડ્રોઅલ પેનલ્ટી: એકવાર એફડી આપમેળે નવી થઈ ગયા પછી જો તમને અચાનક પૈસાની જરૂર પડે અને તમે મુદત પહેલાં પૈસા ઉપાડો, તો બેંક તમારી પાસેથી પેનલ્ટી (દંડ) વસૂલશે, જેનાથી તમારો નફો વધુ ઘટી જશે.


લોકો શા માટે આ સુવિધાને વધુ પસંદ કરે છે?
તમામ જોખમો હોવા છતાં, આ સુવિધા રોકાણકારોમાં ભારે લોકપ્રિય છે કારણ કે તેમાં દોડધામમાંથી મુક્તિ મળે છે. ગ્રાહકોને વારંવાર બેંકના ધક્કા ખાવા પડતા નથી કે ઇન્ટરનેટ બેંકિંગ લોગિન કરવાની ઝંઝટ રહેતી નથી.


આ ઉપરાંત આ સુવિધાનો એક મોટો ફાયદો એ છે કે તમારો એક પણ રૂપિયો એક પણ દિવસ માટે ખાલી (નિષ્ક્રિય) રહેતો નથી. જો પૈસા એફડી પૂરી થયા પછી સેવિંગ્સ એકાઉન્ટમાં પડ્યા રહે, તો તેના પર માત્ર ૨.૫ થી ૩ ટકા જેવું મામૂલી વ્યાજ મળે છે. જ્યારે ઓટો-રિન્યુઅલના કારણે ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding) નો સીધો લાભ મળે છે, કારણ કે પાછલી એફડીનું વ્યાજ પણ હવે મુદ્દલનો ભાગ બનીને કમાણી કરવા લાગે છે. આનાથી બચત કરેલી મૂડી ખોટા ખર્ચાઓમાં વપરાતી અટકે છે.


રોકાણકારો માટે શું છે સૌથી શ્રેષ્ઠ રસ્તો?
નાણાકીય તજજ્ઞોની સલાહ મુજબ, આ સુવિધા પસંદ કરવી કે નહીં તેનો નિર્ણય તમારી વર્તમાન આર્થિક જરૂરિયાતો પર આધારિત હોવો જોઈએ:


જો નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર ન હોય: અને બજારમાં વ્યાજ દરો સ્થિર હોય અથવા ઘટી રહ્યા હોય, તો ઓટો-રિન્યુઅલનો વિકલ્પ ઉત્તમ સાબિત થઈ શકે છે.


​​​​​​​જો બજારમાં વ્યાજ દરો વધી રહ્યા હોય: તો મેન્યુઅલ રિન્યુઅલ (પોતાની મેળે રિન્યુ કરવું) જ સૌથી સ્માર્ટ નિર્ણય છે. એફડી પાકવાની તારીખે પોતે જ વ્યાજ દરોની સમીક્ષા કરો.

ખાસ સલાહ: જો તમે કોઈ મોટો ખર્ચ પ્લાન કર્યો હોય અથવા વધુ વ્યાજ મેળવવા અન્ય બેંકમાં ખાતું બદલવા માંગતા હોવ, તો ઓટો-રિન્યુઅલ ઓપ્શન બંધ રાખીને મેચ્યોરિટી પર રકમ સીધી તમારા બચત ખાતામાં જમા થાય (Payout) તેવો વિકલ્પ પસંદ કરવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application