મિલકતની માથાકૂટમાં દેવપરામાં સગા ભાભીની હત્યા કરનાર દિયરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, જાણો શું હતો કેસ

  • March 24, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના દેવપરા વિસ્તારમાં પરિવારના અંદરો અંદરના મિલકતના ઝઘડામાં દિયરે સગા ભાભી પર સરાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી દિયરને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.


આ કેસની હકીકત મુજબ, શહેરના કોઠારીયા મેઇન રોડ ઉપર દેવપરા નજીક આવેલ વિવેકાનંદનગરમાં રહેતા ભારતીબેન ઉમેશભાઈ સરધારા નામની પરિણીતા કઈ તારીખ 8/ 1 2019ના રોજ સાંજે સ્વાધ્યાયમાં જઈ રહ્યા હતા, ત્યારે મેહુલનગર વોર્ડ ઓફિસ પાસે પહોંચ્યા ત્યારે દિયર ચમન કડવા સરધારાએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા અંગેની ભક્તિનગર પોલીસ મથકમાં મૃતકના પતિ ઉમેશ કડવાભાઈ સરધારાએ ફરિયાદ નોંધાવતા, પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ચમન કડવા સરધારાની ધરપકડ કરી હતી. 


ધોરણસરની કાર્યવાહી તેમજ તપાસ પૂર્ણ થતા આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો હતો. બાદ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ વી. કે. ગઢવી અને રાઇટર નિલેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા તપાસના અંતે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ કેસ અદાલતમાં ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદ પક્ષે મરનારનું મૃત્યુ સાપરાધ મનુષ્યવધ છે તેવું સાબિત કર્યા બાદ તે મૃત્યુ આરોપીએ જ નિપજાવેલ છે કે કેમ તે બાબતે ફરીયાદ પક્ષે ફરિયાદી ઉમેશભાઈ સરધારાને તપાસેલ છે. ફરીયાદી આરોપીના સગા ભાઈ થાય છે. તેમજ મરણજનારના ફરિયાદી પતિ થતા હતા. 


બાદ ફરીયાદને સપુર્ણપણે સમર્થન આપેલ છે. નજરે જોનાર લક્ષ્મીબેન ભુપતભાઈ ગજેરાની જુબાનીથી સપુર્ણપણે સમર્થન મળેલ છે. આરોપીને અદાલતમાં નામજોગ ઓળખી બતાવેલ છે. સાહેદને આરોપી સાથે કોઈ દુશ્મનાવટ ન હતી. બનાવના બીજા નજરે જોનાર સાહેદ દુધીબેનનું ચાલતા કામે અવસાન થયેલ છે. પરંતુ તેના પુરાવાની કવોલિટી ધ્યાને લેવાની હોય છે. 


તેના પરથી પણ બનાવ બનેલો તેવી હકિકત ફરીયાદ પક્ષ સાબિત કરી શકેલ છે. ભકિતનગર પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર ઓપરેટર, પો.કો. ભરતભાઈ મારકણાએ ફરીયાદ પક્ષના કેસને સપુર્ણ સમર્થન આપેલ છે. સાહેદ કૌશિકભાઈ રામાણીને તપાસેલા છે, તેઓની રુબરુ તા.૦૮/ ૧૦/ ૧૯ના કલાક ૧૬-૪૫ વાગ્યે આરોપીએ બનાવ વખતે પહેરેલ કપડા તેમજ લોહીવાળી છરી પર અને આરોપીના પેન્ટ પર મળેલા લોહીના નિશાન મૃતકના મળી આવેલા છે વગેરે એફ.એસ.એલ. અધિકારીની જુબાની અને આરોપીના બ્લડ રિપોર્ટ પરથી સાબિત થાય છે, આમ ફરીયાદ પક્ષ કેસ સાબિત કરી શકેલ હોય, ફરીયાદ પક્ષ સાંયોગીક અને દાર્શનીક પુરાવાની કડી અદાલતના રેકર્ડ પર લાવી શકેલ છે, તે મતલબની સરકારી વકીલની દલીલ ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માએ આરોપી ચમન કડવાભાઈ સરધારાને આઈ.પી.સી.ની. કલમ-૩૦૨ હેઠળ તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા અને દંડ ફરમાવ્યો છે. 


આ કામમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ સ્મિતાબેન અત્રિ અને તેમની મદદમાં મૂળ ફરિયાદી વતી અભય ભારદ્વાજ એસોસિએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ ૫૨મા૨, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, કૃણાલ દવે, ચેતન પુરોહીત રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application